
વાસંતી પવનની મૃદુ આંગળી તો પ્રકૃતિની વીણાના તારને હળવેકથી છંછેડે, પણ આજકાલ એવું અનુભવાતું નથી. મોસમ પાસે જાણે કે તેનો પોતાનો કોઈ મિજાજ રહ્યો જ નથી. છતાં હોળી,ધૂળેટી, ફાગણનો ચાંદ, આકાશે ધવલ વાદળાં અને રસ્તા પર -જો મૂર્ખ મનુષ્યની નજરથી બચી ગયેલું કોઈ ગુલમહોર અને કેસુડાંનું મસ્તીભર્યું સામ્રાજ્ય મોસમની મુલાકાત કરાવી દે એવું બને.
અમદાવાદની ઉજવણીમાં “હું રીક્ષાવાળો…”એવું ઘોંઘાટીયું ગીત સાંભળતા કોઈકે કહ્યું પણ ખરું કે અહીં ઈમારતોના જંગલ વચ્ચે વસંત જલ્દી આવે છે અને વહેલી જ ચાલી જાય છે. મુઘલ બાદશાહે કંટાળીને આ શહેરને ગર્દાબાદ કહ્યું હતું, આજે ધૂળ તો નથી પણ આબાદની વ્યાખ્યા પણ બદલાતી જાય છે. ગાંધીનગર જતાં રસ્તામાં ગુલમહોરના બે વૃક્ષો એકબીજાથી સાવ નજદીક જોવા મળતા, એક દિવસે ત્યાં સપાટ જમીન હતી, પુછ્યું તો કહે કે અહીં મોટો મોલ અથવા એપાર્ટમેન્ટ થવાનું છે.
એક કૃદ્ધ કવિ સઇજો યાસો કહે છે, “કોઈ મારા હાથમાં એક નાનકડું પરબીડિયું પકડાવી ગયું છે. જેમાં એક સંદેશો છે પૂનમની રાતનો. પહાડી દહેકી ઉઠશે. પણ મારુ ચિત્ત એમ સળગવા તૈયાર નથી. ખૂબ ફૂંકો મારુ છુ પણ માત્ર ધુમાડો જ થાય છે. મારી આંખોમાં અને કાનોમાં મુશળધાર અંધકાર વરસી રહ્યો છે. ક્યાંય રાતની મીઠાશ કે સવારની લાલીમા નથી. છે કેવળ સૂનકાર. ત્યાં જીએચઆર નથી, ઘરની બહારનું ગુલમહોર નથી, સપના ભાગી છૂટયા છે. . એક્દમ બેસૂરું અને બેઢંગું અંધારિયું ગીત છે.”
પણ આ તો કવિનું હૃદય. તેને સમજવું અઘરું છે. પ્રકૃતિનો સંબંધ વસંત અને ફાગણ બંને સાથે રહ્યો છે. તેની શોધ માટે વળી કોઈ ટ્રાવેલ્સ કંપનીની જાહેરાત જોવી પડે. રસ્તાઓ પર સવારથી મોડી રાત સુધી વાહનોની ભીડ સાથે કોઈ સ્પર્ધા કરતું હોય તો તે મનુષ્ય માત્ર. આગમન, ગમન અને વળી પાછું આગમન, બોસ, ઇન્ક્રીમેન્ટ, ટેન્ડર, પાકો નફો, ટીએ ડીએ , જીએચઆર અને બહારના બજેટનું સંતુલન કરવાનો તરફડાટ, બજાર અને સેન્સેક્સ, મેગા-સુપર મેગા મોલ, કોર્ટ અને હોસ્પિટલોમાં નિરંતર કતાર, ઓફિસ કે દુકાનથી ઘર સુધીની સફર રોજીંદુ રૂટિન બની ગઈ છે, તેની વચ્ચે જ પોતાના ધૂંધળા સપનાઓ અને ઈચ્છાઓની સુપર બજાર લાગી છે.
શું પામવું છે તેને, એ ખબર પણ છે અને છ્તાં તે બે-ખબર છે. સવારના અખબાર કે ટીવી પણ બુલેટિનમાં તેના કોઈ ખબર મળતા નથી. એટલા બધા આવરણ અને ધારી લીધેલા અભાવ વચ્ચે તે જીવે છે કે કોઈક અગવડ પડે ત્યારે તેને મોસમની ખબર પડે છે. જોશીમઠની જમીનમાં તિરાડ કે ક્યાંક ભૂકંપના એપીસેન્ટરને સમાચારથી વધુ મહત્વ આપવું ગમતું નથી.
બોબ ડાઈલોનના ઉદ્દામ સ્વરોનો ક્યારેક અનુભવ થયો તો હશે :”યૂ ડોન્ટ નો, વ્હોટ ઈઝ હેપનિંગ/ ડુ યૂ મિસ્ટર જોન્સ ? “પછી ક્યાંક વાંચ્યું હોય કે એ તો અમેરિકન સાઈકેડે- લિકોનો વિદ્રોહ છે, આપણે શું? આપણી પાસે બીજું બધુ છે. દેવદર્શન છે, વરઘોડો છે, બેન્ડ વાજાનો શોરબકોર છે, તૂટી પડતાં પૂલ અને દેશી શરાબથી મરેલા દેહોનો ઢગલો છે,રસ્તા પર અને બંધારણે ભેટ આપેલી સંસદના ગૃહોમાં ધાંધલ ધમાલના દ્રશ્યો છે, આંદોલનોનો જૂનો અસબાબ રહ્યો નથી, સાવ નવો ખેલ દેખાય છે, સાર્વજનિક જીવનમાં શબ્દોએ તેની મહત્તા ગુમાવી દીધી, કવિની કવિતા પણ અર્થ ગુમાવી બેઠી, ધર્માત્માઓ પાસે ય કોઈ ઉકેલ નથી.
આમાં આશાના કિરણો અને આશાના કારણોનો રસ્તો ગૂમ થઈ ગયો હોય ત્યાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, હેમંત, શિશિર, શરદ… આની અનુભૂતિ ક્યાથી મળે? છ્તાં ખોજ તો મનુષ્યનો સ્વભાવ છે. દૈનંદિન વ્યવહારમાં નહિ તો ખલીલ જીબ્રાન જેવા કોઈ ઘેલા ફિલસૂફ કવિ પાસેથી કંઈક મળે આ શબ્દોમાં:”…અને જ્યારે તે તમારી જોડે બોલે તો તેમાં તમે શ્રદ્ધા મુકજો..” કોણ તે વળી? કોઈ નેતા? કોઈ દેવદૂત? કોઈ ભવિષ્યવેત્તા? કોઈ મઠાધિપતિ? ના. તે કહે છે: ‘હા, તરબતર પ્રેમ.
ઉત્તર દિશાનો પવન બગીચાને બાળી નાખે તેમ તમારા સ્વપ્નોનો વિનાશ થઈ શકે પણ તેથી ડરી જઈને કશું શોધતા હો તો તમે તમારા ફોતરાંણે જ લપેટી લઈને પ્રેમના ખળામાઠી સહીસલામત બહાર નીકળી જજો. ઋતુઓ વિનાના જગતમાં પેસી જાઓ. ત્યાં તમારું ધરાર હાસ્ય તો હશે પણ પૂર્ણ હાસ્ય નહીં હોય, ના, સંપૂર્ણ રુદન પણ નહીં હોય.”
આવું મેળવવા જિગર જોઈએ? ઈતિહાસ તો એવું કહે છે. આવા જ એક ગુલાલભર્યા દિવસે, ત્રણ યુવકો અંધારી ખોલીમથી બહાર નીકળી, હાથ પગમાં બેડી હોવા છ્તાં તેને સંગીતના તાલમાં બદલાવી તેઓ ગાતા જાય છે: મેરા રંગ દે બસંતી ચોલા..
કઈ ફાગણી હોળી ખેલવા તેઓ નીકળ્યા હતા?
લાહોરની ડિસ્ટ્રિક્ટ જેલની ઊંચી દીવાલો વચ્ચે એક પ્રેયસી તેની રાહ જોઈ રહી છે, ખુલ્લા બાહુથી પ્રતિક્ષિત ફાંસીની રસ્સી!
ત્યાં સુધી આ મસ્તમૌલા યુવકોના હોઠ પર ગીત- “મેરા રંગ દે બસંતી ચોલા! “
ફાંસીનો ઝુલો ફાગણનો ઝુલો બની ગયો. રાવી નદીનો કિનારો તેના મૃતદેહોને પોતાના પાલવમાં સમાવી લે છે. ઈતિહાસે એ ત્રણ મસ્તાનાઓના નામ જતનપુર્વક સાચવી રાખ્યા છે: સરદાર ભગત સિંહ,શિવરામ હરિનારાયણ રાજગુરુ, સુખદેવ રામલાલ. ફાગણ વિશ્ ભલે કહેવાતું હોય કે ફાગુન કે દિન ચાર પણ બલિદાન અને તે પણ પૂરા સમાજને માટે, દેશ માટે- નો આવો ઘૂંટાયેલો રંગ તો ક્યારેક જ ઈતિહાસના પાના પર અર્પિત થતો હોય છે ને?
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)