શું હતો સમગ્ર મામલો
ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં ખુરહંડ ગામમાં રામજાનકી મંદિર (RamJanki Tample) આવેલું છે. આ મંદિરમાં રામકુમારદાસ પૂજારી તરીકે સેવા આપે છે અને મંદિરનું ધ્યાન રાખે છે. આ મંદિરની 40 વીઘા જમીનમાં ઘઉં ઉગાડવામાં આવે છે અને તેના વેચાણથી આવતા નાણાથી મંદિરની જાળવણી કરવામાં આવે છે. આ વર્ષે 40 વીઘા જમીન પર ઉગેલા ઘઉંના ટેકાના ભાવે વેચાણ માટે પૂજારી રામકુમારદાસે પોતાના આધારકાર્ડ (Aadhaar card) પર ઓનલાઈન નોંધણી કરાવી હતી.
SDM એ રદ્દ કરી પૂજારીની નોંધણી
પૂજારી રામકુમારદાસે પોતાના આધારકાર્ડ (Aadhaar card) પર મંદિરની 40 વીઘા જમીનમાં ઉગાડવામાં આવેલા ઘઉંની ટેકાના ભાવે વેચાણની કરેલી નોંધણી અતર્રાના SDM એ રદ્દ કરી નાખી હતી અને કહ્યું કે જેના નામે જમીન છે તેનું જ આધારકાર્ડ આપવાનું રહેશે.
અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card
જેના નામે જમીન તેનું આધારકાર્ડ આપો એવું કહેતા પૂજારી રામકુમારદાસે કહ્યું કે જમીન તો ભગવાનના નામે એટલે કે રામજાનકી (RamJanki Tample) મંદિરના નામે છે. તો અધિકારીઓએ કહ્યું ભગવાનનું આધારકાર્ડ (Aadhaar Card of God) આપો. અધિકારીઓની આ વિચિત્ર માંગણીથી વિવાદ ઉભો થયો હતો. જો કે વિવાદ બાદ અધિકારીઓએ કહ્યું કે અમે ભગવાનનું આધાર કાર્ડ માંગ્યું નથી. અતર્રાના SDM સૌરભ શુક્લાએ કહ્યું –
“ભગવાનનું આધારકાર્ડ માંગવામાં આવ્યું નથી. ખરીદનીતિ અનુસાર ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી થઇ શકે છે. મંદિર કે ટ્રસ્ટના નામે ટેકાના ભાવે ખરીદીની કોઈ જોગવાઈ નથી.”
અતર્રા APMC ના અધિકારી સમીર શુક્લાએ કહ્યું –
“ખરીદનીતિ અનુસાર ટેકાના ભાવે મંદિર કે ટ્રસ્ટના પાકની ખરીદી નથી થઇ શકતી, પરંતુ તેના ભાગીદારો પોતાના ભાગના પાકની ઓનલાઈન નોંધણી કરાવી વેંચી શકે છે. આ મંદિરના પાકની ટેકાના ભાવે ખરીદી નથી કરવામાં આવી તેવી કોઈ બાબત સામે આવી નથી.”