પ્રયાગરાજમાં ચાલી રહેલાં દિવ્ય અને ભવ્ય કુંભ મેળામાં રાજનેતાઓએ સંગમમાં ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ શુક્રવારે સંગમમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા.
નીતિન ગડકરી સફેદ ધોતીમાં માથા પર ચંદનનો ચાંદલો લગાવી એક નવા અવતારમાં જ જોવા મળ્યા હતા. તેમની સાથે યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ મૌર્યા સહિત ઘણાં નેતાઓ પણ હાજર હતા. પોતાના સ્નાન પછી મંત્રીએ ટ્વિટર પર ફોટો શેર કર્યો અને ળખ્યું કે, પ્રયાગરાજના તીર્થ કુંભમાં આજે સંગમમાં સ્નાન કરીને પૂજા કરી છે.
જે પછી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે કુંભમાં સ્નાન કર્યા પછી અને પાણીની ગુણવત્તા જોઇ આનાંદ મળી રહ્યો છે. પાણીનું સ્તર ઘણું સારું છે અને તેમાં ઘણો સુધાર થયો છે. આજે જ્યારે થયેલા કામોનું નિરિક્ષણ કર્યું ત્યારે 30 ટકા કામ પૂર્ણ થયા છે અને આવતાં વર્ષે માર્ચ મહિના સુધીમાં 100 ટકા કામ પૂર્ણ થઈ જશે.
છેલ્લા થોડાં દિવસથી ઘણાં કેન્દ્રીય મંત્રીઓ દ્વારા કુંભમાં સ્નાન કરવાનું ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કુંભમાં સ્નાન કર્યું હતું. જે પહેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સ્નાન કર્યું છે.
Published On - 1:33 pm, Fri, 8 February 19