
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. પીએમએ કહ્યું કે ઠંડી ભલે મોડી અને ધીરે ધીરે આવી રહી હોય પરંતુ રાજકીય ગરમી ઝડપથી વધી રહી છે. પીએમ મોદીએ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પ્રોત્સાહક ગણાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમગ્ર દેશે નકારાત્મકતાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે અને આમ કહી વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
જે બાદ પીએમ એ કહ્યું હતુ કે અમે વિપક્ષને વિનંતી કરીએ છીએ કે તેઓ નકારાત્મકતા છોડીને સકારાત્મકતા સાથે ગૃહમાં આવે અને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચાલવા દે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થયુ હતુ જેમાં ભાજપે 3 રાજ્યમાં જીત મેળવી છે. ત્યારે વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતથી ઉત્સાહિત PM એ કહ્યું કે તેઓ સંસદ પહેલા વિપક્ષી નેતાઓ સાથે વાત કરે છે, આ વખતે પણ આવું થયું છે. પીએમએ કહ્યું કે લોકશાહીનું આ મંદિર લોકોની આકાંક્ષાઓ અને વિકસિત ભારત બનાવવાનું પ્લેટફોર્મ છે. આવી સ્થિતિમાં બધા તૈયાર થઈને અહીં આવ્યા અને સારા સૂચનો આપ્યા.
પીએમે કહ્યું કે વિપક્ષમાં બેઠેલા સાથીદારો માટે આ એક સુવર્ણ તક છે, આવી સ્થિતિમાં હાર પર પોતાનો ગુસ્સો બહાર કાઢવાને બદલે તેઓએ તેમાંથી કંઈક શીખવું જોઈએ.પીએમએ કહ્યું કે બહારનો ગુસ્સો સંસદ ગૃહમાં કાઢવો જોઈએ નહીં.
તમને જણાવી દઈએ કે 17મી લોકસભાનું છેલ્લું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે જો કે સત્ર શરુ થતા વિપક્ષ હંગામો કરતા લોકસભા સ્થગિત કરવામાં આવી છે. આ સંસદ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલશે. સરકાર આ સત્રમાં 21 મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. જો કે આ સમયગાળા દરમિયાન ગૃહમાં હંગામો થવાની પુરી શક્યતાઓ હતી જ અને તેમ બન્યુ પણ.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત બાદ ભાજપ ખૂબ જ ખુશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પરિણામો બાદ વિપક્ષ પર પ્રહાર કરવાની કોઈ તક છોડી રહ્યા નથી. સંસદ સત્ર પહેલા તેમણે કહ્યું કે હારનો ગુસ્સો સંસદમાં વ્યક્ત ન કરવો જોઈએ.
Published On - 11:36 am, Mon, 4 December 23