Breaking News : રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વાનુમતે પાસ, બિલની તરફેણમાં 215 વોટ પડ્યા

|

Sep 21, 2023 | 11:23 PM

રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. PMએ લખ્યું કે આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની આ નિર્ણાયક ક્ષણ છે. 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું છે. 

Breaking News : રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વાનુમતે પાસ, બિલની તરફેણમાં 215 વોટ પડ્યા
Women Reservation Bill

Follow us on

Women Reservation Bill : લોકસભા બાદ રાજ્યસભામાં (Rajya Sabha) મહિલા અનામત બિલ સર્વાનુમતે પાસ થયું છે. બિલની તરફેણમાં 215 વોટ પડ્યા છે. જ્યારે બિલની વિરોધમાં એક પણ સાંસદે મતદાન કર્યું નથી. મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન કાયદો લોકસભામાં પસાર થયા બાદ આજે રાજ્યસભામાં તેની ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પર મતદાન થયું હતું. આ બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. આ બિલ હવે રાજ્યસભામાં પણ સર્વાનુમતે પસાર થઈ ગયું છે. એક પણ સાંસદે આ બિલની વિરોધમાં મતદાન કર્યું નથી.

તમામ સભ્યોએ મલ્ટીમીડિયા ડિવાઈસ દ્વારા પોતાનો મત આપ્યો હતો. દેશની રાજનીતિ પર વ્યાપક અસર કરનાર મહિલા અનામત બિલને બુધવારે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું. આ બિલને બંને ગૃહોમાંથી મંજૂરી મળ્યા બાદ હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. ત્યાંથી તેને મંજૂરી મળતા જ આ બિલનું નામ ‘નારી શક્તિ વંદન એક્ટ’ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું

રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું. PMએ લખ્યું કે આપણા દેશની લોકતાંત્રિક યાત્રાની આ નિર્ણાયક ક્ષણ છે. 140 કરોડ ભારતીયોને અભિનંદન. હું તે તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માનું છું જેમણે નારી શક્તિ વંદન એક્ટ માટે મતદાન કર્યું છે.

એક દિવસ પહેલા જ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતું આ બિલ લોકસભામાં પસાર થયું હતું. બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા, જ્યારે અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના અન્ય સાંસદે તેની વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. લોકસભામાં બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આ અભૂતપૂર્વ સમર્થન સાથે લોકસભામાં બિલ પાસ થતું જોઈને તેઓ ખુશ છે.

સભાપતિ જગદીપ ધનખરે ઐતિહાસિક જીત ગણાવી

રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થયા બાદ સભાપતિ જગદીપ ધનખરે તેને ઐતિહાસિક જીત ગણાવી હતી. મહિલા આરક્ષણ બિલ પર ચર્ચાની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બંને ગૃહમાં 132 સભ્યોએ ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે ગૃહમાં થયેલી ચર્ચાનો દરેક શબ્દ આવનાર સફરમાં આપણા સૌને ઉપયોગી થશે. ગૃહમાં ચર્ચાના દરેક શબ્દનું મહત્વ અને મૂલ્ય હોય છે. આ લાગણી દેશના લોકોમાં નવો આત્મવિશ્વાસ પેદા કરશે. તેમણે કહ્યું કે આ બિલ પાસ કરાવવામાં તમામ પક્ષોની મહત્વની ભૂમિકા છે. તમામ પક્ષોના સમર્થનથી મહિલા શક્તિને વિશેષ સન્માન મળ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:21 pm, Thu, 21 September 23

Next Article