કોરોના અને લોકડાઉન બાદ હવે અનલોકના અંતિમ તબક્કામાં સરકારે શહેરના બાગ બગીચા ખોલવાની મંજૂરી આપી દીધી છે. લગભગ બે અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે છતાં સુરતના બાગ બગીચા ગાર્ડન ઓછા પણ જંગલ વધારે દેખાઈ રહ્યા છે.
સુરતના પાલ વિસ્તારમાં આવેલ પાલ લેક ગાર્ડનની વાત હોય કે જહાંગીરપુરા ખાતે આવેલા બોટાનીકલ ગાર્ડનની વાત. આ ગાર્ડન જેવા બીજા અનેક ગાર્ડનમાં યોગ્ય મેઇન્ટેનન્સ ન થયું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.
બોટાનીકલ ગાર્ડનમાં બનાવવામાં આવેલા તળાવમાં વનસ્પતિઓ ઊગી નીકળી છે. ગાર્ડનમાં ચાલતી ટોય ટ્રેન પણ બંધ હાલતમાં છે. વૃક્ષોનું ટ્રીમિંગ ન થઈ શકતા ગાર્ડન જંગલમાં ફેરવાઈ ગયા છે.
લોકો અહીં આવે તો છે પણ યોગ્ય જાળવણી ન થઈ હોવાની ફરિયાદ કરી રહ્યા છે. પાલ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકે જણાવ્યું હતું કે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને સાંજ પડ્યે બાળકોને ફરવા લઈ આવીએ છીએ. પણ ગાર્ડનમાં કોઈ સુવિધા નથી. રમતગમતના સાધનો પણ કાટ ખાઈ ગયા છે. લેક ગાર્ડનમાં તળાવની જગ્યાએ વનસ્પતિ ઊગી નીકળી છે.
અન્ય એક સ્થાનિકે ઉમેર્યું હતું કે ગાર્ડન બનાવવા ખાતર બનાવી દેવામાં આવ્યા છે. પણ તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની છે. જેથી તવરીતે તેનો નિકાલ આવે તે પણ જરૂરી છે.
નોંધનીય છે કે કોરોનાકાળ અને લોકડાઉનના પ્રતિબંધોને કારણે શહેરના બાગ બગીચા પણ શહેરીજનો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અને અનલોકના તબક્કામાં હવે જ્યારે ગાર્ડન ખોલી દેવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે ગાર્ડન વિભાગ પાસે બાગ બગીચાને મેઇન્ટેઇન કરવાની ફુરસદ મળી નથી.
સુરતના ગાર્ડનોમાં વૃક્ષોના ટ્રીમિંગ, લેક ગાર્ડનોમાં પાણીની સમસ્યા, રમતગમતના સાધનો કટાઈ જવા જેવી અનેક ફરિયાદો લોકો દ્વારા સામે લાવવામાં આવી છે. જોવાનું એ રહેશે કે મનપા તંત્ર આ ફરિયાદોનો ઉકેલ ક્યારે લાવે છે.
આ પણ વાંચો: Surat: આગામી સમયમાં સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવશે? જાણો કેમ પાલિકાની ચિંતા વધી
આ પણ વાંચો: Surat: તક્ષશિલા દુર્ઘટનાના 25 મહિના બાદ પણ વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાય માટેની આગ, કરી આ માંગ
Published On - 3:29 pm, Thu, 1 July 21