ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપોના દોર યથાવત રહ્યા છે. હાલમાં જ્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓ (Schools) માં પ્રવેશોત્સવના કાર્યક્રમ ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના શાસન દરમ્યાનની શિક્ષણ વ્યવસ્થાની સરખામણી કરીને રાજકીય નેતાઓએ આક્ષેપબાજી શરૂ કરી છે. ઓલપાડ (Olpad) માં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમ્યાન પૂર્વ મંત્રી ગણપત વસાવાએ ફરી એકવાર કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો યથાવત રાખ્યા છે. આ વખતે ગણપત વસાવાએ ભાજપ-કોંગ્રેસના શાસનની સરખામણી કરવા પોતાનું જ ઉદાહરણ આપ્યું છે અને કોંગ્રેસ ને આડે હાથ લીધી છે.
પૂર્વ મંત્રી ગણપત વસાવાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયની શિક્ષણપ્રથા ખૂબ જ કથળેલ હતી. તેમણે ઉમેર્યું હતું કે હું અને મારા મિત્રો મહુડાનાં ઝાડ નીચે બેસીને અભ્યાસ કરતા, ભણવા માટે અમે છેક રાજપીપળા જતા હતા, અને પીવાના પાણી માટે અમારે બસસ્ટેન્ડ સુધી જવું પડતું હતું. અને નાહવા માંગે અમારે કરજણ નદીએ જવું પડતું.
પણ ત્યારે અને હમણાંના સમયમાં જમીન આસમાન નો ફરક આવ્યો છે. શિક્ષણ વ્યવસ્થામાં આજે મોટો સુધારો આવ્યો છે. આજે કોઈપણ વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે તાલુકો કે જિલ્લો છોડીને બહારગામ છોડીને જવાની જરૂર નથી પડતી. તેમને ગામમાં જ સારું શિક્ષણ મળી રહે છે.
આજે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ, આંગણવાડીથી લઈને સાયન્સ કોલેજો સુધીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલું જ નહીં માંગરોળ તાલુકામાં પણ છ કોલેજ સરકારે આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. આમ કોંગ્રેસના શાસન દરમ્યાનની શિક્ષણ વ્યવસ્થાને લઈને પૂર્વ મંત્રી ગણપત વસાવાએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.
આ પહેલા પણ ગણપત વસાવા અનેક કાર્યક્રમોમાં કોંગ્રેસ પર આક્ષેપો કરતા સાંભળવા મળ્યા હતા. તેઓ આ પહેલા પણ કોંગ્રેસને ડૂબતું જહાજ ગણાવી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટીને કરેલા કર્મો ભોગવવા પડી રહ્યા છે એવું પણ તેઓ કહી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે 23 જૂનથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યભારની સરકારી સ્કૂલોમાં મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધીકારીઓએ નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને તેમને શિક્ષણ માટેની કીટનું વિતરણ કર્યું હતું.
(ઇનપુટ- સુરેશ પટેલ, ઓલપાડ)
Published On - 3:26 pm, Sat, 25 June 22