Surat: સુરતના હરણફાળ વિકાસની સાથે સાથે અહીં વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને પરેશાન થવાનો વારો આવે છે. આ જ કારણ છે કે, સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા સામે ઝુઝતા વિસ્તારોમાં ફલાયઓવર બ્રિજનું (Flyover bridge) નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બ્રિજ સીટી સુરતને વધુ એક બ્રિજની ભેંટ મળવા જઇ રહી છે. શહેરના કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર રોજીંદી ટ્રાફિક સમસ્યાને પગલે વહીવટી તંત્ર દ્વારા ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંદાજે 62.84 કરોડના ખર્ચે સાકાર થનારા આ ઓવરબ્રિજ અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે પર આવાગમન કરનારા વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ પુરવાર થશે. વહીવટી તંત્ર દ્વારા આ સંદર્ભે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં આ વિસ્તારના વાહન ચાલકોને નિશ્ચિતપણે ભારે રાહત મળશે. સિટી ઓફ બ્રિજ તરીકે પ્રસ્થાપિત થયેલા સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને શહેરના અલગ – અલગ વિસ્તારોમાં ફ્લાયઓવર – રેલવે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ દરમ્યાન હવે શહેરના અમરોલી વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર બીઆરટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 82.65 કરોડની સામે એક કોન્ટ્રાકટર દ્વારા 24 ટકા જેટલું નીચું 62.84 કરોડની ઓફર કરવામાં આવી છે. કોન્ટ્રાકટરે 30 મહિનાની સમય મર્યાદામાં આ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
હાલ, રત્નમાલા જંકશનથી ગજેરા સર્કલ સુધી પીક અવર્સ દરમ્યાન ભારે ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી હોય છે. મુંબઈ – અમદાવાદ નેશનલ હાઈવે પર જવા – આવવા માટે વાહન ચાલકોની સરળતા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ ફ્લાયઓવર બ્રિજ આર્શીવાદ રૂપ પુરવાર થશે.