શહેરના સારોલી (Saroli )વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટોમાં છેલ્લા બે દિવસથી પાણી(Water ) ભરાઈ જતાં વેપારીઓની (Traders )હાલત સૌથી વધુ કફોડી થવા પામી છે. એક તરફ માંડ માંડ પાટે ચઢેલા વેપાર – ધંધા અને સામા તહેવારોની સ્થિતિ વચ્ચે ખાડી પુરને કારણે વેપારીઓને મોટા આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે ત્યારે હજી ખાડી પુરનું સંકટ ક્યારે ટળશે તે અંગે પણ વેપારીઓમાં શંકા – કુશંકા જોવા મળી રહી છે. ગઈકાલે સવારથી સારોલીમાં ખાડીપુરના પાણી ફરી વળતાં મોટા ભાગની માર્કેટોમાં વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા હતા. જોકે, આજે પણ આ પાણી ભરાઈ રહેવાને કારણે સવારથી જ માર્કેટમાં નોકરી કરવા માટે પહોંચી રહેલા કારીગરોના ટોળે ટોળા રસ્તા પર નજરે પડ્યા હતા.
સારોલીમાંથી પસાર થતી મીઠી ખાડીમાં ગઈકાલથી જ પુરની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એક તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે નાગરિકોની હાલત કફોડી થવા પામી છે ત્યારે બીજી તરફ સારોલી વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ ડીએમડી સહિત આસપાસની માર્કેટો અને છૂટક વેપાર – ધંધો કરનારાઓમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે વેપાર -ધંધો ઠપ્પ થઈ જતાં વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હજી ખાડી પુરનું સંકટ ક્યારે દુર થશે તે અંગે ખુદ વહીવટી તંત્ર પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
શહેરમાં ખાડીપુર અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે ગઈકાલથી મનપા દ્વારા અલગ – અલગ વિસ્તારોમાં રેસક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, આજે સવારે ફાયર વિભાગ દ્વારા માધવ બાગ સોસાયટી પાસે મેઈન રોડ પર મુકવામાં ફાયર વિભાગની બોટ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ હતી અને અસંખ્ય નાગરિકો ત્રણથી ચાર ફુટ પાણીમાં રસ્તો પાર કરતાં નજરે પડ્યા હતા.
ટેક્સટાઈલ માર્કેટોમાં નોકરી કરતો મહત્તમ વર્ગ શહેરના ગોડાદરા – લિંબાયત અને પરવટ ગામ સહિત આસપાસના વસવાટ કરે છે ત્યારે આ નોકરિયાત વર્ગના હજ્જારો નાગરિકો આજે પણ ત્રણથી ચાર ફુટમાં નોકરી – ધંધા માટે પહોંચવા માટે મજબુર નજરે પડ્યા હતા. કાંગારૂ સર્કલથી કેપિટલ સ્કેવર સુધીના વિસ્તારમાં ખાડી પુરના પાણી ભરી વળતાં નોકરી – ધંધા માટે પહોંચવા માટે આ લોકોએ નાછૂટકે કમર સુધીના પાણીમાંથી રસ્તો પાર કરવાની ફરજ પડી હતી.
બીજી તરફ આ સ્થળે જ ફાયર વિભાગની બોટ નજરે પડતાં લોકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ મનપા દ્વારા આ વિસ્તારમાં દર વર્ષે ખાડીપુરને કારણે ભારે હાલાકી સર્જાતી હોવા છતાં કાયમી સમસ્યા દુર કરવા માટે કોઈ કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી.