અફઘાનિસ્તાનમાં સત્તા પલટાની અસર ડ્રાયફ્રૂટ્સ બજારો પર, અમદાવાદમાં ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30 ટકાનો વધારો

છેલ્લા 10 દિવસમાં અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ્સના ભાવોમાં 20 થી 30% નો વધારો નોંધાયો છે જેને કારણે વિવિધ બજારોમાં ગ્રાહકો પણ ડ્રાયફ્રૂટ્સની ખરીદી કરવા આવતા બંધ થઈ ગયા છે.

અફઘાનિસ્તાનમાં સત્તા પલટાની અસર ડ્રાયફ્રૂટ્સ બજારો પર, અમદાવાદમાં  ડ્રાયફ્રૂટ્સના ભાવમાં 30 ટકાનો વધારો
| Edited By: | Updated on: Aug 20, 2021 | 5:33 PM

AHMEDABAD : તાલિબાનોએ અફઘાનિસ્તાન પર આક્રમણ કરીને અફઘાનિસ્તાનની સત્તા સંભાળી લીધી છે જેને કારણે અફઘાનિસ્તાન થી વિવિધ ડ્રાયફ્રુટની થતી આયાત પર હવે બ્રેક લાગી ગઈ છે જેની સીધી અસર ભારતીય ડ્રાયફ્રૂટ્સ માર્કેટ પર જોવા મળી રહી છે. છેલ્લા 2 મહિનાથી અફઘાનિસ્તાનમાં કટોકટીનો માહોલ છે જેને કારણે ખૂબ ઓછી માત્રામાં ડ્રાયફ્રૂટ્સનો જથ્થો ભારત આવતો હતો. પરંતુ તાલિબાનોએ અફઘાનિસ્તાનની સત્તા સંભાળી લીધા બાદ ભારતમાં થતી ડ્રાયફ્રૂટ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ચૂકી છે, જેને કારણે ભારતીય બજારોમાં ડ્રાયફ્રૂટ્સની અછત વર્તાવાની શરૂ થઈ ગઈ છે.

વિવિધ ડ્રાયફ્રૂટ્સની અછતના કારણે ડ્રાયફ્રૂટ્સ બજારોમાં ડ્રાયફ્રૂટ્સના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ્સના ભાવોમાં 20 થી 30% નો વધારો નોંધાયો છે જેને કારણે વિવિધ બજારોમાં ગ્રાહકો પણ ડ્રાયફ્રૂટ્સની ખરીદી કરવા આવતા બંધ થઈ ગયા છે.

ભારતના બજારોમાં મોટા ભાગના ડ્રાયફ્રૂટ્સ અફઘાનિસ્તાનથી જ આવતા હોય છે જેને કારણે હાલ મોટાભાગના ડ્રાયફ્રૂટ્સની આયાત બંધ થવાના કારણે ભારતીય બજારોમાં ડ્રાયફ્રૂટ્સનો ખૂબ મર્યાદિત જથ્થો જ ઉપલબ્ધ છે. ખાસ કરીને કાજુ, બદામ, દ્રાક્ષ, જરદાલું, અખરોટ અને અંજીર ની આયાત અફઘાનિસ્તાનથી કરવામાં આવે છે જે બંધ થઈ જતા આ તમામ ડ્રાયફ્રૂટ્સની કિંમતોમાં વધારો નોંધાયો છે.

અમદાવાદ ડ્રાયફ્રૂટ્સ બજારMA વિવિધ ડ્રાયફ્રુટ ના વધેલા ભાવ પર નજર કરીએ તો

કાજુ – 600 ના બદલે 800 રૂપિયા/કિલો

બદામ – 550 ના બદલે 950 રૂપિયા / કિલો

અંજીર – 500 ના બદલે 800 રૂપિયા /કિલો

દ્રાક્ષ – 300 ના બદલે 500 રૂપિયા / કિલો

જરદાલું – 300 ના બદલે 500 રૂપિયા / કિલો

ખજૂર – 100 ના બદલે 150 રૂપિયા / કિલો

વિવિધ ડ્રાયફ્રૂટ્સના ભાવ માં 20 થી 30% નો ભાવ વધારો નોંધાતા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવ વધારાના કારણે હાલ બજારમાં ડ્રાયફ્રૂટ્સની કોઈ લેવાલી નથી. ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ચિંતા સતાવી રહી છે કે જો આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે તો દિવાળી સુધીમાં ડ્રાયફ્રૂટ્સના ભાવોમાં 50% જેટલો ભાવ વધારો નોંધાશે જેનાથી વેપારીઓની હાલત કફોડી બની જશે.

આ પણ વાંચો : જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું વીજળી મીટર કેવું હશે અને તમારા ઘરે ક્યારે લાગશે

આ પણ વાંચો : કેનેડામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર ગુજરાતના 6 હજાર વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી, જાણો શું છે કારણ

Published On - 5:32 pm, Fri, 20 August 21

Follow Us