Porbandar: પોરબંદર ખારવા સમાજ દ્રારા આજે ખારવા પંચાયત રામદેવજી મંદિરથી (Ramdevji Temple) ભવ્ય પાલખીયાત્રાનું પ્રસ્થાન થયું હતું. નવનિયુક્ત ખારવા સમાજના 12 ગામના પ્રમુખની આગેવાનીમાં હજારો જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા. ખારવા સમાજના ઇષ્ટદેવ અને 12 બીજના ધણી રામદેવજી મહાપ્રભુજીની આજે અસાઢી બીજના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જ્ઞાતિ આગેવાનો સહિતના લોકો સમગ્ર શહેરમાં પાલખીયાત્રા નીકળી હતી. આજે પાલખિયાત્રા પહેલા પોરબંદરના રાજવી પરીવાર દ્રારા નવનિયુક્ત 12 ગામ ખારવા સમાજના પ્રમુખને સાફો પહેરાવી તલવાર આપી માતાજીની ચુંદડી પ્રસાદી રૂપે ભેટ આપ્યા બાદ આજથી નવા કામોની શરૂઆત થાય છે.
ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે જણાવ્યું હતું કે, આ વર્ષે 74મી વખત પાલખીયાત્રા નીકળી છે. આજે સમાજના ભાઈઓ બહેનો સાથે જોડાય છે. સમાજમાં શાંતિ અમન રહે તેવો સંદેશ આપીએ છે. તેમજ સમાજ એજ્યુકેશનમાં પ્રગતિ કરે તેમજ પોરબંદરમાં ખારવા સમાજ માટે ફિશરીઝ કોલેજ અને સોસાયટીની સરકાર પાસે માંગ કરી છે. ત્યારે રાજપૂત સમાજના આગેવાન જયદીપસિંહે જણાવ્યું હતું કે, આજે અષાઢીબીજના દિવસે ખેડૂતો અને માછીમારો માટે ખૂબ મહત્વનો દિવસ છે. આજના દિવસે પોરબંદરના રાજા તરફથી તલવાર સાફો માતાજીની ચુંદડીથી શુભેચ્છાઓ પાઠવે છે. જ્યારે પ્રમુખ ગાદી સ્થાન પર બિરાજે ત્યારે રાજવી પરિવાર તેમને માન સન્માન આપે છે એ પરંપરા આજે અમો દરબારીઓએ જાળવી રાખી છે.