BANASKANTHA : ગુજરાતમાં સતત જોવાઈ રહેલી વરસાદની રાહ વચ્ચે ઘણા દિવસો બાદ આખરે બનાસકાંઠાના દાંતા પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશાલી જોવા મળી છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહી પડ્યા હતા. નદી-નાળાઓ પણ વરસાદી નીરથી ભરાયા છે. વરસાદને કારણે ખેતરોમાં મૂરઝાતા પાકને જીવતદાન મળ્યું છે. તો ગામડાઓમાં વીજ ધાંધીયા પણ સર્જાયા હતા.
બનાસકાંઠાના દાંતા ઉપરાંત આજે 29 ઓગષ્ટે રવિવારે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેઘાની ધમાકેદાર સવારી આવી પહોંચી છે. તેમજ ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા અને રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યા છે. ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં વરસાદી નીરનું આગમન થયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાટે સારા સમાચાર છે. જેમાં જન્માષ્ટમીથી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદપડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે. જ્યારે તો 1 સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી આગાહી છે.
ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 41.63 ટકા જ વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 31 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 37 ટકા જ વરસાદ થયો છે.
Published On - 6:58 pm, Sun, 29 August 21