AHMEDABAD : જો તમે અમદાવાદમાં લટાર મારવા નીકળો અને ગટરના તૂટેલા ઢાંકણા જોવા ન મળે તો જ નવાઇ આપને જાણીને આશ્ચર્ય થશે કે શહેરમાં AMC દ્વારા નાખવામાં આવેલા ગટરના ઢાંકણાની ગુણવત્તા નબળી હોવાનો ખુલાસો થયો છે.એટલે કે પ્રજાના પૈસાનું પાણી થયું છે.શહેરમાંથી ઢગલાબંધ ફરિયાદો મળતા AMCના સત્તાધીશોએ ગટરના ઢાંકણાની ગુણવત્તાની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ઢાંકણાના સેમ્પલ લેબમાં ચકાસણી માટે મોકલાશે. મહત્વપૂર્ણ છે કે કેચપિટના ઢાંકણાની જાળી તૂટી જવાની વ્યાપક ફરિયાદો બાદ AMCનું તંત્ર સફાળું જાગ્યું છે અને વોટર કમિટીની બેઠકમાં તપાસનો નિર્ણય લેવાયો છે.
જો કે કોર્પોરેશનની ગટરના ઢાંકણા તૂંટવા એ વર્ષો જૂની પરંપરા છે. ઢાંકણાની ગુણવત્તાને લઇને સામે આવેલી વિગતો અનેક સવાલો પેદા કરનારી છે…અહીં પ્રશ્ન એ થાય છે કે શું AMCએ કેચપિટના ઢાંકણાની ગુણવત્તાની કોઇ ખરાઇ કરી જ નહોતી?, શું કેચપિટના ઢાંકાણાની તપાસ વગર જ ખરીદી કરી દેવાઇ?, શું AMCદ્વારા આડેધડ જ સિમેન્ટના ઢાંકણા ખરીદી લેવાય છે?, કેમ નાગરિકોએ ફરિયાદ કર્યા બાદ જ તંત્ર જાગ્યું ? અત્યાર સુધી AMCના અધિકારીઓ શું કરતા હતા ?, ખરેખર ઢાંકણાની ગુણવત્તા નબળી છે કે પછી ઢાંકણા કૌભાંડને અંજામ અપાયો છે ?…હવે જોવાનું એ રહે છે કે લેબ રિપોર્ટમાં શું હકિકત સામે આવે છે.