હવે ક્યારે ખુલશે સ્કુલ?
નીતિ આયોગના અધિકારી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપી છે. ડો.વી.કે.પૌલે જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળાને કારણે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોનાકાળમાં બંધ થયેલી શાળાઓ ફરીથી ખોલવા (School Reopening)નું ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે વધુમાં વધુ શિક્ષકોનું રસીકરણ પૂર્ણ થશે. આ સિવાય, કોવિડના બાળકો પરની અસર વિશેની વધુ માહિતી પછી જ શાળા ખોલવા માટે વિચારણા કરવામાં આવશે.
વિદેશોની સ્થિતિ પરથી સમજવું જોઈએ
શાળાઓ ફરીથી ખોલવા (School Reopening) અંગે નીતિ આયોગના અધિકારી ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે તે સમય જલ્દીથી આવવો જોઈએ. પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વિદેશમાં શાળાઓ ખોલવામાં આવી હતી અને તે પછી કોરોના કેસ વધ્યા પછી તેમને ફરીથી બંધ કરવી પડી હતી. આપણે આપણા વિદ્યાર્થી અને શિક્ષકોને આવી સ્થિતિમાં મૂકવા માંગતા નથી.
સાવધાની રાખવી ખુબ જરૂરી
ડો.વી.કે.પૌલ (Dr.V.K.Paul)એ કહ્યું કે સ્કુલ ફરીથી ખુલે (School Reopening) તો તેનો અર્થ એ નથી કે બાળકોને સામાજિક અંતર અનુસરવાની જરૂર નથી. ‘ઘણી બધી બાબતો છે જેના વિશે આપણે હજી સુધી જાણતા નથી. શાળાઓ ફરી શરૂ કરવી એ એક અલગ મુદ્દો છે. તે ફક્ત વિદ્યાર્થીઓ વિશે જ નથી પરંતુ તેમાં શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીનો પણ સમાવેશ થાય છે. વાયરસ જે રીતે તેનું સ્વરૂપ બદલી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખવું પડશે. આજે તે બાળકોમાં ઓછું અસરકારક છે પરંતુ કાલે તે વધુ ચેપી બને તો શું થશે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને AIIMS એ એક અધ્યયનમાં જણાવ્યું છે કે કોવિડ-19 સામે લડતા એન્ટિબોડીઝ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વિકસ્યા છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકો પર વધુ નહીં પડે.