કોરોના મહામારીમાં 3621 બાળકો અનાથ થયા
બાળ આયોગ (NCPCR) એ સુપ્રીમકોર્ટમાં રજૂ કરેલા રીપોર્ટ મૂજબ કોરોના મહામારી (Corona epidemic) દરમિયાન એપ્રિલ 2020 થી 5 જૂન 2021 સુધીમાં દેશમાં 3621 બાળકો અનાથ (children orphaned) થયા છે. જ્યારે 26,176 બાળકોએ માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા છે.
દેશભરના બાળ સુરક્ષા કેન્દ્રોમાં 274 બાળકો ત્યજી દેવામાં આવ્યા છે. આ સહિત, પોર્ટલ પર નોંધાયેલા બાળકોની કુલ સંખ્યા 30,071 છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી માહિતી એકઠી કર્યા પછી કમિશને બાળકોની ‘બાલ સ્વરાજ’ પોર્ટલ પર નોંધણી કરાવી છે.
આ બાળકોમાં એવા બાળકોનો સમાવેશ થાય છે જેમણે કાં તો તેમના માતા-પિતા બંને અથવા માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવ્યાં છે. રાજ્યોમાં મહારાષ્ટ્રમાં મહત્તમ 7084 કેસ નોંધાયા છે.ઉત્તરપ્રદેશ બીજા સ્થાને છે, જ્યાં 3172 કેસ નોંધાયા છે.
રાજસ્થાનમાં 2482 કેસ નોંધાયા છે.
કેન્દ્ર સરકાર સહાય યોજના ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરી રહી છે
કેન્દ્ર સરકારે 7 જૂન સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે PM CARES ફંડ હેઠળ કોવિડ -19 ને કારણે અનાથ બાળકો (children orphaned) ની રાહત યોજના ઘડવા માટે વધુ સમયની જરૂર છે.
કેન્દ્ર સરકારે ન્યાયાધીશ એલ નાગેશ્વરા રાવ અને અનિરુધ્ધ બોઝની વિશેષ બેંચને કહ્યું કે આ સંદર્ભે ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવાની કવાયત ચાલુ છે. કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્ય ભાટીએ બેંચને જણાવ્યું હતું કે પીએમ કેરેસ ફંડમાંથી કોવિડને કારણે અનાથ બાળકોને કેવી રીતે રાહત આપી શકાય છે તે અંગે હોદ્દેદારો સાથે વાતચીત ચાલી રહી છે.
બંગાળ અને દિલ્હી નથી આપી રહ્યાં માહિતી
બાળ અધિકારના સંરક્ષણ આયોગ (NCPCR) ના અધ્યક્ષ પ્રિયંકકાનુનગોએ કહ્યું કે, ઘણી રાજ્ય સરકારોએ અનાથ બાળકો (children orphaned) ની મદદ માટે ઝડપી કાર્યવાહી કરી છે. આ એક સારો સંકેત છે કે અમે બાળકોને મદદ કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. દુર્ભાગ્યે, પશ્ચિમ બંગાળ અને દિલ્હી એ બે રાજ્યો છે જ્યાં આ બાળકોનો સર્વે કરવામાં આવ્યો નથી અને અમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે બાળકો પ્રત્યે આ બંને સરકારના વલણને સંવેદનશીલ કહી શકાય નહીં.
Published On - 10:41 pm, Mon, 7 June 21