ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં પીવાનું પાણી દૂષિત હોવાનો રિપોર્ટ, ભૂગર્ભ જળમાં ક્લોરાઈડ નાઈટ્રેટ સહિતના તત્વોની માત્રા વધી

|

Jan 23, 2023 | 11:37 PM

North Gujarat: ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં પીવાનું પાણી દૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ક્લોરાઈડ નાઈટ્રેટ સહિતના તત્વોની માત્રામાં વધારો થયો છે.

ડાર્ક ઝોન ગણાતા ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં પીવાનું પાણી દૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. પાણીમાં ફ્લોરાઇડ નાઈટ્રેટ, આર્સેનિક અને આયર્નની ગંભીર માત્રા મળી હોવાનો રિપોર્ટ આવ્યો છે. દૂષિત પાણીથી લોકોના આરોગ્યને પણ નુકસાન થાય છે. એક પરીક્ષણ પ્રમાણે સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ક્લોરાઈ નાઈટ્રેટ સહિતના તત્વોની માત્રામાં વધારો થયો છે.

ભૂગર્ભજળ નીચે જવાને કારણે અને પાણી દૂષિત થવાને કારણે બનાસકાંઠાના કાંકરેજ, લાખણી, દિયોદર, દાંતીવાડા, ડીસા અને ધાનેરા તાલુકાઓમાં રોગનું પ્રમાણ વધ્યું છે. પાણીમાં પ્રદૂષણની માત્રા વધતાં લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.

ભૂગર્ભ જળ નીચે જતા ખેડૂતો બેફામ સિંચાઈના પાણીનો ઉપયોગ કરી રહ્યાં છે. ખેતીમાં પણ રાસાયણિક ખાતરો વપરાતા હોવાથી આ રસાયણ ભૂગર્ભમાં ઉતરે છે અને પાણીને દૂષિત કરે છે. સાથે સાથે ઔદ્યોગિક એકમો પણ કેમિકલયુક્ત પાણી ભૂગર્ભ જળમાં ઉતારતા હોવાના લીધે ભૂગર્ભનું પાણી દૂષિત બનતું જાય છે. જેના લીધે લોકોને શારીરિક તકલીફ પડી રહી છે. મોટાભાગે તાલુકાઓમાં લોકોના દાંત પીળા પડી જવા ઉપરાંત કમર મણકાના દુખાવા, સાંધાના રોગ અને પથરી સહિતની ગંભીરે બીમારીઓનો સામનો કરી રહ્યા છે.

આરોગ્ય વિભાગનું માનવું છે કે ભૂગર્ભ જળ સ્ત્રોત દિવસે ને દિવસે વધુ દૂષિત બની રહ્યો છે તો બીજી તરફ પ્રદુષણ નિયંત્રણ અધિકારીએ કહ્યું કે ઔદ્યોગિક એકમને શરતો સાથે મંજૂરી આપી છે, અને ફરિયાદ આવે તો તપાસ કરીએ છીએ.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળમાં TDS અને ફ્લોરાઈડનું પ્રમાણ વધ્યુ, સૌથી વધુ TDS પાટણ જિલ્લામાં 9130 નોંધાયું

જો કે અહીં એકબીજાને ખો આપવા કરતાં નક્કર આયોજનની જરૂર છે. જેનાથી ભૂગર્ભ હાલ જે જળ છે તેને બચાવી શકાય છે. નહીં તો આવનારા દિવસોમાં રોગચાળો વધુ વકરે તો નવાઈ નહીં. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શરતોને આધીન ઔદ્યોગિક એકમોને મંજૂરી અપાય છે પરંતુ પાલન ન થવાને કારણે આ પરિસ્થિતિ ઉદભવે છે.

Next Video