ઉનાળાની આકરી ગરમી વડોદરાવાસીઓ માટે જીવલેણ સાબિત થઇ રહી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટનો દાવો છે કે છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયા છે. સ્થિતિને જોતા ડૉ.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડૉ.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.
વડોદરામાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટવેવની અસર જોવા મળી છે.હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જો કે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યાં છે.
ગુજરાતના 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયુ છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ગઈકાલે સવારના સાત વાગ્યાથી જ તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર નોંધાયો હતો. જો કે અનેક શહેરોમાં મોડી રાત સુધી ગરમ પવન ફૂંકાયો છે.
( વીથ ઈનપુટ – અંજલી ઔઝા )