ગાંધીનગર સચિવાલયમાં આજથી મુલાકાતીઓ માટે નવા નિયમો અમલી બન્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સચિવાલયમાં મુલાકાતીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આજથી મુલાકાતીઓ સચિવાલયમાં પ્રધાનો સાથે મુલાકાત કરી શકશે. પ્રધાનોના કાર્યાલયમાં મુલાકાતીઓ અને અધિકારીઓ માટે માસ્ક ફરજિયાત કરાયું છે. તો બીજી તરફ પ્રધાનોની મુલાકાત સમયે મોબાઈલ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. એટલે કે સચિવાલયમાં મુલાકાતીઓ કોઈપણ પ્રધાનની મુલાકાત સમયે મોબાઈલ સાથે પ્રવેશ નહીં કરી શકે.
ફક્ત મુલાકાતીઓ જ નહીં ધારાસભ્યો અને સાંસદોએ પણ મોબાઈલ ફોન બહાર મૂકીને જ પ્રવેશ કરવાનો રહેશે. આજથી સચિવાલયમાં સૂચનાના બોર્ડ પણ લાગી ગયા છે. સાથે જ પ્રધાનોની ચેમ્બર બહાર મોબાઈલ ફોન મૂકવાની ટ્રે પણ રાખવામાં આવી છે. તો આજથી દર સોમવારે મુલાકાતીઓ પ્રધાનોની મુલાકાત લઈ શકશે. જ્યારે સાંસદો અને ધારાસભ્યો મંગળવારે પ્રધાનોની મુલાકાત લઈ શકશે.
(વીથ ઈનપૂટ- કિંજલ મિશ્રા, ગાંધીનગર)