પાટનગર ગાંધીનગરના (Gandhinagar) સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિરમાં (Akshardham Mandir) દર વર્ષની જેમ આ વર્ષે પણ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે દિવાળીના શુભ દિવસથી શરૂ કરવામાં આવેલો દીપોત્સવ લાભ પાંચમ સુધી ચાલશે. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ઉજવણી અંતર્ગત વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવવામાં આવ્યા અને દીવડાંથી અક્ષરધામ મંદિર ઝળહળી ઉઠ્યું છે. દર્શનાર્થીઓ દીપોત્સવ ઉપરાંત વોટર શૉ તેમજ પ્રદર્શનો સહિત અક્ષરધામ સંકુલના તમામ આકર્ષણો 24 ઓક્ટોબરે પણ માણી શકાશે.
ગાંધીનગર અક્ષરધામ ખાતે દર વર્ષે આ પ્રકારે રોશની કરવામાં આવે છે જોકે કોરોના કાળ દરમિયાન પ્રવાસીઓ માટે તમામ દર્શન બંધ રહેતા હતા , પરંતુ આ વખતે ફરી એક વાર વિશ્વ વિખ્યાત અક્ષરધામ મંદિર પ્રવાસીઓ માટે ખૂલ્લું રહેશે. સામાન્ય રીતે સોમવારના રોજ મંદિર મેઇન્ટેન્સ માટે બંધ રાખવામાં આવે છે પરંતુ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખતા આજે સોમવારના દિવસે મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લુ રહેશે. તેમજ પ્રમખુ સ્વામી મહારાજ શતાબ્દી વર્ષે અક્ષરધામ મંદિર ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી લોકોના જીવનમાં પ્રેમ, કરૂણા, શાંતિ, સૌહાર્દ, સંવાદિતા, વિશ્વબંધુત્વ, સાંસ્કૃતિક અસ્મિતા નો સંચાર થાય તેવો વૈશ્વિક શાંતિનો ફેલાવો કરવાનો સંદેશ પણ આપવામાં આવશે.
Published On - 8:47 am, Mon, 24 October 22