કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે તેમની પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહે બજેટ અંગે જણાવ્યુ કે આ બજેટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળી નથી. વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે ગુજરાતમાં હિરા ઉદ્યોગની છેલ્લા ઘણા સમયથી માગ છે કે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે. હિરા ઉદ્યોગ દિવાળી સમયથી મંદીમાં સપડાયો છે. છતા ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
શક્તિસિંહે બજેટને નિરાશાજનક ગણાવતા મોંઘવારી, બેરોજગારી, અસમાનતા વધારનારુ ગણાવ્યુ છે. તેમણે કહ્યુ 2014 થી 2024ના 10 વર્ષના સમયગાળામાં બજેટમાં વચનો આપવામાં આવ્યા પણ મોટાભાગની યોજનાના અમલીકરણ પાછળ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યુ નથી. અનેક યોજનાઓમાં માત્ર પાંચ ટકાથી 35 ટકા સુધીનો જ ખર્ચ થયો છે. તેમણે કહ્યુ દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતુ નથી. જુદી-જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામોથી પ્રભાવિત કરી શકાય તેમ નથી. એટલે સતત આંકડાઓથી પ્રભાવિત કરવાનો વધુ એક પ્રયાસ વચગાળાના બજેટમાં જોવા મળી રહ્યો છે.
તેમણે કહ્યુ એકંદરે આ કેન્દ્રીય બજેટ મહિલાઓ, ખેડૂતો, યુવાનો, અને નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકારો સાથે દેશના સામાન્ય નાગરિકો માટે અત્યંત નિરાશાજનક છે. જ્યારે ઉદ્યોગપતિઓને મદદ કરનારુ બજેટ છે.
Published On - 10:58 pm, Thu, 1 February 24