ભારે વરસાદના પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે ગાંધીનગરના માણસામાં ભારે વરસાદના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. સોલેયા, સમો, પડુંસમાં, બાપુપુરા, ઇટાદરા, ચરાડા સહિતના ગામોમાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. ખેતરમાં પાણી ભરાઈ રહેતા કપાસ, મગફળી અને શાકભાજીનો પાક નષ્ટ થયો છે. પાકમાં થયેલા નુકસાનની સહાય માટે ખેડૂતો પોકાર કરી રહ્યા છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી રાજકોટના જેતપુર અને વીરપુરમાં ખેતી પાક પર માઠી અસર થઈ છે.વર્ષભરની આકરી મહેનત કરીને તૈયાર કરાયેલા પાકનો ભારે વરસાદના કારણે સોંથ નીકળી ગયો છે.સતત પાંચ દિવસ સુધી વરસાદી વાદળ તો વરસી ગયા પરંતુ હવે તાતના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે.પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.