લોકસભા ચૂંટણી બાદ ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે. કોંગ્રેસ સંસદીય દળના નેતાએ પ્રોટેમ સ્પીકરને પત્ર લખીને જાણ કરી હતી.
બેઠકમાં લોકસભા સ્પીકરના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. કોંગ્રેસના ઘણા નેતાઓએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરી હતી. હવે રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લેવાયેલા પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
રાહુલ ગાંધી તેમની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત બંધારણીય પદ સંભાળશે. આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી એમ બે લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી, પરંતુ ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક છોડી દીધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
આ બેઠકમાં કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ડેરેક ઓ બ્રાયન અને કલ્યાણ બેનર્જી, સમાજવાદીના રામ ગોપાલ યાદવ, ડીએમકેના ટીઆર બાલુ, આરજેડીના સુરેન્દ્ર યાદવ, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે, આરએસપીના એનકે પ્રેમચંદ્રન, શિવસેના સેના (યુબીટી)ના અરવિંદ સાવંત, આરએલપી સાંસદ હનુમાન બેનીવાલ હાજર રહ્યા હતા.