ખેડાના મહુધા તાલુકાના ધંધોડી ગામમાં કાદવવાળા માર્ગ પરથી અંતિમયાત્રા લઈને જવા મજબૂર બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ધંધોડી ગામેથી રુદણ જતો ટીમલી વિસ્તારનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યા છે. ધારાસભ્ય લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નિવડ્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અવર- જવર માટે પાકો રસ્તો બનાવી આપવા માટે સ્થાનિકોએ માગ કરી છે.
બીજી તરફ ભરુચના અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે સાથે જોડતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. માર્ગ પર જ્યાં નજર કરો ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. ખાડાવાળા રસ્તાના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. વહાનચાલકોને ઉબડખાબડ અને ગંદકીથી ભરપૂક રસ્તાથી અકસ્માતની ઘટનાઓનો પણ સતત ભય રહે છે.