ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદના પગલે અનેક રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાય જતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે. વડોદરાના ડેસર તાલુકાના કિર્તન ગરાસિયા છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયા હતા. જેઓનું આજે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જો કે બચાવ કામગીરી બાદ યુવકને આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે આવેલા એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્તા ભાદર ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચતા ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી ભાદર નદીમાં છોડવામાં આવ્યું છે. ભાદર ડેમ બે દિવસ પહેલા માત્ર 13 ટકા જ ભરેલો હતો. પરંતુ મહીસાગર જિલ્લામાં સતત બે દિવસથી થયેલા અનરાધાર વરસાદના પગલે ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. જેના પગલે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારના 8 ગામને એલર્ટ આપવામાં આવ્યો છે.
આ તરફ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. વડોદરામાં અત્યાર સુધી 5000થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. મનપાના વિવિધ આશ્રયસ્થાનો પર લોકોને ખસેડાયા છે. પૂર પ્રભાવિતો માટે વહીવટી તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.