કચ્છમાં ધોધમાર વરસાદ બાદ ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. લખપત તાલુકાના અનેક ગામ હજુ પણ પાણી ઓસર્યા નથી. દોલતપર ગામમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટાપાયે નુકસાન થયુ છે.
લીલા દુકાળને લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એરંડા, મગફળીના પાક સાથે ખેડૂતોની મહેનત પણ ધોવાઈ રહી છે. કૃષિ, પશુપાલન પર આધારિત લખપતમાં કથળી સ્થિતિ જોવા મળી છે. પાણી ભરાઈ જવાને લીધે હજારો એકર જમીનને નુકસાન થયુ છે.સરકાર મદદ કરે તેવી ખેડૂતોએ માગ કરી છે.
બીજી તરફ વરસાદના વિરામ બાદ અરવલ્લીમાં તીડનો આતંક જોવા મળ્યો છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં તીડનો આતંક વધ્યો છે. તીડથી ખેતી પાકમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. જીતપુર, ખાખરીયા, ઇસરી, ખુમાપુર સહિતના પંથકમાં આતંક જોવા મળ્યો છે. વરસાદ લાંબો વિરામ લેશે તો તીડ વધવાની આશંકા છે.