નવરાત્રીનો તહેવાર ઉત્સાહ સાથે પૂર્ણ થયો. નવરાત્રીના નવમા દિવસે પલ્લીની સવારી રુપાલ અને પ્રાંતિજમાં નિકળતી હોય છે. ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળતી હોય છે.જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટતા હોય છે. પ્રાંતિજમાં પણ બ્રહ્માણી માતાની પલ્લી નિકાળવામાં આવતી હોય છે. વર્ષોની પરંપરા મુજબ પલ્લી સવારી નિકળવામાં આવે છે. બ્રહ્માણી માતાના મંદિરેથી નિકળતી પલ્લીમાં મોટા પ્રમાણમાં શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે.
નોમના દિવસે પલ્લી સવારી નિકાળવાની પરંપરા રહેલી છે. પ્રાંતિજમાં નાની ભાગોળ વિસ્તારમાં આવેલ પટેલ વાસમાંથી બ્રહ્માણી માતાની પલ્લીની સવારી મધ્યરાત્રીએ નિકળતી હોય છે. જેના દર્શનનો લાભ લેવા માટે હજારો શ્રદ્ધાળુઓ આસપાસના ગામડાઓમાંથી આવતા હોય છે. પલ્લી સવારીના માર્ગ પર ભક્તોની ભીડ ઉમટતી હોય છે. સવારી નીકળતા જ તેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. પલ્લી માટે ઘીનો અભિષેક કરવા ભક્તો મોટા પ્રમાણમાં ઘી ચડાવતા હોય છે.