આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને વધુ એક મોટી આગાહી કરી છે. હજુ 30 તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવશે. રાજ્યના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ થશે. દ્વારકા, જામનગર અને પોરબંદરના કેટલાક ભાગોમાં હજુ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.
ઓખા અને કચ્છના રાપર, નખત્રાણા અને ભુજના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 30 ઓગસ્ટે ડિપ્રેશન સર્જાશે અને વાવાઝોડા જેવો પવન ફુંકાશે તેમજ વરસાદ આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. સાગર ખેડૂઓને પણ દરિયામાં ન જવા અંબાલાલે તાકીદ કરી છે.
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વરસાદ અટક્યા બાદ પણ જ્યાં પાણી ઉતરી ગયું છે એવા ભાગોમાં ખેડૂતોના માથેથી ખતરો નહીં ટળે. ઉભા પાકમાં ફુગજન્ય રોગચાળો આવવાની શક્યતા છે. રોગને લીધે ઉભો પાક સુકાઈ જાય તેવી ભીતિ રહેલી છે. મગફળીના પાકમાં મુંડા પડવાથી મોટા પાયે નુકસાનની ભીતિ પણ રહેલી છે.
આ તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા વધી શકે છે.
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar
Published On - 5:04 pm, Thu, 29 August 24