સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાં 36 ટકા જ પાણી, ઉનાળા પહેલા તંત્ર યોગ્ય આયોજન કરે તેવી લોકોની માગ

|

Feb 12, 2022 | 1:01 PM

સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમ આવેલા છે. જેમાં હાલની સ્થિતિએ માત્ર 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. દર વર્ષે શિયાળામાં જ ડેમમાંથી પાણી ખાલી થઇ જાય તેવી સ્થિતિ સર્જાય છે.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં દર વર્ષે પાણીની તકલીફ (Water shortages) પડવા છતા તંત્રના અધિકારીઓ તેમાંથી કઈ જ શીખતા નથી. સુરેન્દ્રનગર જીલ્લાના 11 ડેમોમાં પાણી ખૂટવા આવ્યું છે અને દર વખતે આ જ સ્થિતિને કારણે લોકોને હાલાકી પણ સહન કરવી પડે છે. તેમ છતા અહીંના અધિકારીઓ પાણી માટે કોઈ જ આયોજન કરતા નથી. જેથી 15 ગામના લોકોએ ભેગા મળીને સુકાતા ડેમોમાં તાત્કાલિક પાણી છોડવા અને અધિકારીઓને સતર્ક બની આગોતરુ આયોજન કરવાની રજૂઆત કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમ આવેલા છે. જેમાં હાલની સ્થિતિએ માત્ર 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. દર વર્ષે શિયાળામાં જ ડેમમાંથી પાણી ખાલી થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જિલ્લામાં ઉનાળા દરમિયાન ફરી એકવાર બેડા યુદ્ધ જોવા મળી શકે તેવી સ્થિતિ છે. દર વર્ષે આવી સ્થિતિ ઊભી થતી હોવા છતા આ વર્ષે પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહ્યુ છે. જેથી ઊનાળામાં આવા દ્રશ્યો ન સર્જાય તેના માટે તંત્ર આગોતરૂ આયોજન કરે તેવી લોકોએ માગણી કરી છે. પીવાના પાણી સાથે ખેડૂતોને સિંચાઈનું પાણી પણ મળી રહે તેવું આયોજન તંત્ર કરે એવું લોકો ઈચ્છી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ડેમમાં પાણીનો જથ્થો

હાલની સ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ, ફલકુ, મોરસલ, સબુરી, નિંભણી, ત્રિવેણી ઠાંગા સહિત કુલ 11 ડેમમાં કુલ ક્ષમતાનાં 36 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જેને કારણે ઊનાળામાં જળ સંકટ સર્જાવાની ભીતિ દેખાઈ રહી છે. વાંસલ, ફલકુ, મોરસલ, સબુરી ડેમમાં પાણી ઘટ્યું છે તો મોરસલ, સબુરી, નિંભણી ડેમમાં 10 ટકાથી ઓછો પાણીનો જથ્થો છે. જિલ્લાના એકમાત્ર ધોળીધજા ડેમમાં 66 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ આ ડેમમાંથી નર્મદા કેનાલનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પુરૂ પડાતું હોવાથી તેને રિઝર્વ રખાયો છે. તેમ છતાં તંત્ર એવા દાવા કરી રહ્યું છે કે ઉનાળામાં પાણીની તંગી નહીં સર્જાય.

ઘોડા છૂટયા બાદ તબેલાને તાળા જેવી આ વાત છે. તંત્ર નક્કર આયોજનને બદલે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે, ત્યારે હવે ઉનાળો સાવ નજીક આવી પહોંચ્યો છે ત્યારે સરકાર કમસે કમ વર્ષોથી એક જ સરખા પ્રશ્નોના ઉકેલ માટે આવનારા વર્ષમાં શું આગોતરું આયોજન કરે છે તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો- સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો સામે હાઈકોર્ટની લાલ આંખ, ઔદ્યોગિક એકમોના જોડાણો ફરી શરુ ન કરવા આદેશ

આ પણ વાંચો- Surat: 150 કરોડની GST ચોરી મુદ્દે એક મહિલાની અટકાયત, મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા

 

Next Video