હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. આગામી 2 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને રાહતના સમાચાર આપ્યા છે. અરબ સાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાયુ હોવાની માહિતી આપી છે. ગુજરાત પર વાવાઝોડાની શક્યતા નહીવત કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત અને મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.