ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાતમાં ચૂંટણી માહોલ બરાબર જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની પૂરી ફોજ ચૂંટણી મેદાનમાં ઉતારી છે, ત્યારે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુરતમાં મોરચો માડ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં યોગી આદિત્યનાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો. “બુલડોઝર બાબા”ના નામથી જાણીતા યોગી આદિત્યનાથનું વરાછામાં ભવ્ય સ્વાગત થયુ હતુ. ભાજપ કાર્યકરોએ બુલડોઝરમાં બેસીને “બુલડોઝર બાબા” પર ફૂલ વર્ષા કરી હતી. યોગી આદિત્યનાથના રોડ શોને પાટીદાર વિસ્તારોમાં ભવ્ય પ્રતિસાદ મળતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ સુરત ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હોદેદારો સાથે મહત્વની બેઠક બોલાવી હતી. આપને જણાવી દઈએ કે, સુરત શહેર અને જિલ્લાની સ્થિતિ અને 16 વિધાનસભા બેઠકોની આગામી રણનિતીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. હાલ ભાજપના દિગ્ગજો પ્રચાર થકી કાર્યકરોમાં નવો જોશ ફૂંકી રહ્યા છે.