કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજે મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે સરકારે લાભ પાંચમથી મગફળી ખરીદીની શરુઆત કરી દીધી છે અને એક સપ્તાહમાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણી પણ થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ રવિપાકની સીઝનમાં ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે એ માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે
કિસાન રાહત પેકેજનો થયો અમલ
અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના પાકોને નુકસાન થયુ હતુ. જેથી 23 તાલુકાના 682 ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યુ હતુ. જેનું અમલીકરણ થયુ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ અતિવૃષ્ટિના નુકસાનમાં અત્યાર સુધીમાં 155 કરોડ રુપિયા જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ ગઇ છે.
પાસા હેઠળ થશે કાર્યવાહી
ખેડૂતોને નડતા કોઇપણ લોકો હશે તેની સામે પગલા લેવાની સરકારે બાંહેધરી આપી છે. સરકારે જણાવ્યુ કે ટેકાના ભાવને લઇને કે ખાતરની કાળાબજારીને લઇને કઇપણ ફરિયાદ હશે તો ગુનેગાર સામે આવશ્યક વસ્તુની ધારા હેઠળ સાત વર્ષ સુધીની સજાની કાર્યવાહી થશે. હવેથી ટેકાના ભાવમાં ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી થશે.
ખાતરની અછત નહીં રહે
રવિ સીઝનમાં ખાતર બરાબર મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્રમાં માગ કરી હતી. મુખ્ય પ્રધાનની ભલામણ બાદ માગણી મુજબનો જથ્થો મળી રહ્યો હોવાનું રાઘવજી પટેલે જણાવ્યુ હતુ અને રાજ્યમાં ખાતરના જથ્થાની અછત થશે તેવી ફેલાતી અફવાનું ખંડન કર્યુ હતુ. કૃષિ પ્રધાને જણાવ્યુ હતુ કે ખાતરનું કાળાબજાર કરનાર સામે પણ કાર્યવાહી થશે.
આ પણ વાંચોઃ અમદાવાદ : રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, હડતાળને મળ્યો મિશ્ર પ્રતિસાદ
આ પણ વાંચોઃ Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે