ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, નવાપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
બીજી તરફ અમરેલીના વડીયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ વડીયામાં ભારે વરસાદને પગલે ઉજળા ગામમાં સ્થિતિ વણસી છે. ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ છે. ધસમસતા પ્રવાહમાં 6 થી 7 ગાયો તણાઈ હોવાની ઘટના બની છે. ગાયોને બચાવવાના પ્રયાસ કેમેરામાં કેદ થયા છે.