બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રારંભે જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રથમ નોરતે મોટી સંખ્યામાં માતાના દર્શને શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ભાવિકોએ માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. નવરાત્રી દરમિયાન લાખો માઈ ભક્તો માતાના ચરણોમાં શિષ નમાવે તેવી સંભાવના છે.
નવલા નોરતાના પ્રારંભે અંબાજી ધામમાં ઘટસ્થાપન વિધિ થશે. શક્તિપીઠ અંબાજીમાં આજે સવારે 11:00 કલાકે ઘટસ્થાપન થવાનું છે. ભટ્ટજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ કરાવાશે. શણગારેલા માટીના ગરબામાં વિધિવત જ્યોતનું સ્થાપન થશે અને જવારા વવાશે. નવરાત્રિના નવ દિવસોમાં માતાજીનેઅલગ-અલગ શણગાર કરવામાં આવશે. રાત્રે મંદિરના ચાચર ચોકમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.
શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આ વર્ષે પહેલા નોરતાથી જ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે તેવી શક્યતા છે, ત્યારે ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.