ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક જળાશયો છલકાયા છે. જેના પાણી અનેક વિસ્તારોમાં પણ ફરી વળતા વિનાશ વેર્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ઘટાડો થતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં નર્મદા ડેમના 5 દરવાજા બંધ કરાયા છે.
બીજી તરફ નર્મદા ડેમના 10 દરવાજા હજુ પણ ખુલ્લા રાખવા પડ્યા છે. નર્મદા ડેમની સપાટી 134.33 મીટર પર છે. ઉપરવાસમાંથી 2 લાખ 41 હજાર 573 ક્યુસેક પાણીની આવક થઈ હતી. નર્મદા નદીમાં 1 લાખ 92 હજાર 500 ક્યુસેક પાણીની જાવક થઈ છે.
રાજકોટમાં ધોધમાર વરસાદ થતા જળાશયોમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા મોજ નદીમાં પાણી છોડાયું છે. ગઢાળા ગામ પાસે આવેલા મોજ નદીનો કોઝવે ધોવાયો છે. તંત્ર દ્વારા માટી નાખી કોઝવેને રીપેર કરાયો હતો. મોટા પ્રમાણમાં પાણીની આવકને કારણે ફરી કોઝવે ધોવાયો છે.