ગુજરાતમાં ફરી એક વાર શૈક્ષણિક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગરમાં આવેલી 2 યુનિવર્સિટીને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. GNLU સહિત PDEU યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયાનો ઈ-મેઈલ મળતા ગાંધીનગર પોલીસ એક્શનમાં આવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.
ગાંધીનગરની બે યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. તાત્કાલિક ધોરણે બોમ્બ સ્કવોર્ડ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. બોમ્બ સ્કવોર્ડની ટીમને સાથે રાખીને પોલીસે બન્ને શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના અંગે ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધી ગુનો દાખલ કરાયો છે.
બીજી તરફ એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 10 ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. દિલ્લી-શિકાગો ફ્લાઈટ કેનેડા તરફ ડાયવર્ટ કરાયું છે. જયપુર-અયોધ્યા ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઇ. સિંગાપોરમાં ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ. છેલ્લા 48 કલાકમાં 10 ફ્લાઈટમાં બોમ્બની ધમકીના મામલાને ગંભીર ગણીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આદે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ બોમ્બની ધમકીને લઈને એક સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં ઉડ્ડયન સંબંધિત સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો.