વરસાદે ફરી એકવાર અમદાવાદને (Ahmedabad) ધમરોળી દીધું હતું. માત્ર દોઢથી બે કલાકના વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. તેમાં પણ ખાસ કરીને પશ્ચિમના વિસ્તારોમાં રસ્તાઓ તો જાણે તળાવ બની ગયા હતા. આ રીતે ગણતરીના સમયમાં જ શહેરમાં પાણી ભરાઈ જતા વાસણા બેરેજના (Vasna barrage) 7 દરવાજા તાબડતોબ ખોલવાની ફરજ પડી હતી.
શહેરમાં બપોરથી સાંજ સુધીમાં ભારે વરસાદ (Rain) ખાબક્યો હતો. જેને પગલે અમદાવાદના વેજલપુર, શિવરંજની, આઈઆઈએમ રોડ જેવા વિસ્તાર જાણે તળાવડાં બની ગયા હતા. બેરેજમાંથી 20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. વાસણા, વેજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સાબરમતી નદીમાં પાણી ઓછું કરાયું.
વાત કરીએ શિવરંજનીની તો ત્યાં બ્રિજ પાસે પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને અનેક વાહનો બંધ પણ પડી ગયા હતા તો IIM રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી. તેવી જ રીતે વેજલપુર વિસ્તારમાં પણ હંમેશાંની જેમ પાણી ભરાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તો આનંદનગરમાં ગોપી સર્કલ પાસે પણ આવી જ સ્થિતિ હતી અનેક વાહનચાલકો પરેશાન થયા હતા. તો તેની પાસે આવેલા પ્રહલાદનગરમાં પણ પાણી ભરાઇ ગયા હતા એટલું જ નહીં મેમનગરમાં પણ ધોધમાર વરસાદ પડતા જળભરાવની પરિસ્થિતિ ઉભી થઈ હતી.
Published On - 11:43 pm, Mon, 15 August 22