લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને AAPનું ગઠબંધન થયુ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાત, દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં સિટ શેરિંગનો ફોર્મ્યુલા સેટ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં બેઠક પર લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાં કોંગ્રેસ-આપના ગઠબંધન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં AAP 2 બેઠકો પર ચૂંટણી લડશે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ તેના ઉમેદવાર મેદાનમાં ઉતારશે.
ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણા ચૂંટણી લડશે. પહેલા ભરૂચ બેઠક પર કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલે દાવેદારી કરી હતી.જો કે હવે ગઠબંધનને લઇને ચૈતર વસાવા ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબના ડેપ્યુટી સ્પીકર હોલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બેઠક વહેંચણી અંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાવરિયા, અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટી તરફથી સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ પીસી માટે પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર બેઠકો પરથી ચૂંટણી લડશે – નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, પૂર્વ દિલ્હી, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી તેના ઉમેદવારો ઉભા કરશે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ ભરૂચ અને ભાવનગરની સીટો આમ આદમી પાર્ટીને આપવા માટે રાજી થઈ ગઈ છે. જો કે અરવિંદ કેજરીવાલે ભરૂચ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો, પરંતુ બાકીની 24 સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે.
Published On - 12:54 pm, Sat, 24 February 24