રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન એટીએમ આજથી ભાવનગરમાં શરૂ થયુ છે. જેમાં ગ્રાહકોને તેમના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે. ભાવનગરમાં આજથી અનાજ એટીએમ શરૂ થયુ છે. જેમાં 1 હજાર કિલો ઘઉં અને 1 હજાર કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે. આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં 4થી 5 હજાર કિલો અનાજ સંગ્રહ કરવામાં આવશે. આ એટીએમમાંથી રાજ્યના કોઈપણ રેશનકાર્ડ કે જેમને અનાજનો જથ્થો મળવા પાત્ર છે તે અનાજ લઈ શકશે. અનાજ એટીએમથી સરકારી અનાજ સગેવગે કરવાની ઘટના પર પણ બ્રેક લાગશે.
રેશનશોપ ડીલરોની મનમાંની અને ગેરરીતિને કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે. તેના ઉકેલરૂપ સરકાર દ્વારા બેંકના એટીએમ જેમ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું. ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ છે. પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાને કારણે લોકો તેનો પુરતો ઉપયોગ કરી શકતા ન હતા. જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો લાભ લઇ શકે છે. તે માટે અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પોતાના મત વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ગ્રીન એટીએમ ભાવનગર શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરચલીયા ભરામાં શરૂ કરવા નિર્ણય લેવાયો છે.