Valsad: વલસાડમાં 15 દિવસમાં 5 શિક્ષક પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ
Valsad: વલસાડ જિલ્લામાં કોરોના (Corona) સંક્રમણ ફરી વધી રહ્યું છે. વલસાડમાં 15 દિવસમાં 5 શિક્ષક પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
Valsad: વલસાડ જિલ્લામાં કોરોના (Corona) સંક્રમણ ફરી વધી રહ્યું છે. વલસાડમાં 15 દિવસમાં 5 શિક્ષક પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શૈક્ષણિક સંકુલોમાં સ્ટાફ, શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાયા તો શાળામાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓ ઘરે હોવાથી તંત્રએ રાહત અનુભવી છે જો કે વિદ્યાર્થીઓને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની સૂચના આપવામાં આવી છે.
જણાવવું રહ્યું કે રાજ્યમાં દર કલાકે 74 લોકો કોરોના સંક્રમણમાં સપડાઇ રહ્યા છે જ્યારે દર ત્રણ કલાકે સરેરાશ એક વ્યક્તિનું કોરોનાથી મોત થઇ રહ્યું છે. રાજ્ય સરકારના ચોપડે નોંધાયેલા આ આંકડા ચાડી ખાય છે કે બીજી લહેર રાજ્યમાં કેટલી ઘાતક સાબિત થઇ રહી છે. રાજ્યમાં ઓલટાઇમ હાઇ 1,790 પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે કોરોનાથી મોતની સંખ્યામાં ઉછાળો નોંધાયો અને રાજ્યમાં 8 દર્દીઓના મોત નિપજ્યા છે તો 24 કલાકમાં 1,277 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 78 હજાર 880ને પાર પહોંચી છે જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 95.45 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 8,823 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 79 થઇ છે. મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 582 કેસ સાથે 2 દર્દીઓના મોત થયા. અમદાવાદમાં 2 દર્દીના મોત સાથે નવા 514 કેસ નોંધાયા હતા તો વડોદરામાં એકના મોત સાથે 165 કેસ. રાજકોટમાં એકના મોત સાથે 164 કેસ નોંધાયા, તો જામનગર અને ગાંધીનગરમાં પણ એક એક દર્દીનું મોત થયું હતું.
તો અમદાવાદમાં પણ આક્રમક રીતે આગળ વધી રહેલો કોરોના હવે નાગરિકોને ડરાવી રહ્યો છે. અમદાવાદમાં 2 દર્દીના મોત સાથે નવા 514 કેસ નોંધાયા હતા જ્યારે કુલ 461 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે નવા 506 કેસ નોંધાયા હતા જ્યારે 459 દર્દીઓ સાજા થયા હતા તો અમદાવાદ જિલ્લામાં 8 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 2 દર્દીઓએ કોરોનાને હરાવ્યો. શહેરમાં સંક્રમણ વધવાની સાથે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ વધારો થઇ રહ્યો છે.