સુરત શહેરમાં આવનારી મનપાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ તરફથી ઉમેદવારોની પસંદગી અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં કેટલાક હાલના કોર્પોરેટરોને ફરી તક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મેયર દક્ષેશ માવાણીનું નામ ફરીથી આગળ આવી રહ્યું છે અને તેમને રિપીટ કરવાની શક્યતા છે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજન પટેલને પણ ફરી એક વખત ઉમેદવારી આપવામાં આવી શકે છે. આ સાથે જ હિમાંશુ રાઉત, વ્રજેશ ઉનડકર અને દિનેશ જોધાણી જેવા કેટલાક અન્ય કોર્પોરેટરોને પણ ફરી ટિકિટ મળવાની સંભાવના છે. નરેન્દ્ર પાટીલ, નેન્સી શાહ, કૃણાલ સેલર અને જીતુ કાછડ જેવા નામો પણ રિપીટ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ઉપરાંત દિનેશ પુરોહિત, અશોક રાંદેરી અને હેમાલી બોધવાલા જેવા ઉમેદવારોને પણ પાર્ટી ફરી વિશ્વાસ મૂકે તેવી ચર્ચા છે. બીજી તરફ, કેટલાક વર્તમાન કોર્પોરેટરો માટે આ ચૂંટણી પડકારરૂપ બની શકે છે. પાર્ટી અંદરથી મળતી માહિતી મુજબ, સોમનાથ મરાઠી, રમીલા પટેલ અને નરેન્દ્ર પાંડવની ટિકિટ કપાઈ શકે છે. સાથે જ ઉર્વશી પટેલ, મનીષા આહીર અને સુધાગર ચૌધરીનું પણ પત્તું કટ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત કૈલાશ સોલંકી, ભાઈદાસ પાટીલ અને રોહિણી પાટીલ સહિત ધર્મેશ વાણીયાવાળા, દીપેન દેસાઈ અને ચીમન પટેલ જેવા કેટલાક કોર્પોરેટરોને પણ આ વખતે પાર્ટી તરફથી ટિકિટ નહીં મળે તેવી ચર્ચા જોર પકડી રહી છે. આમ, ભાજપ મનપાની ચૂંટણી માટે નવી અને જૂની ચહેરાઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરી રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.