રાજકોટ માં વધતા વૈશ્વિક તણાવની અસર હવે સ્થાનિક ઉદ્યોગો પર પણ દેખાવા લાગી છે. ખાસ કરીને પાણીની બોટલ બનાવતા ઉદ્યોગોને કાચા માલની અછત અને વધતા ખર્ચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વધી રહી છે. પાણીની બોટલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના દાણા મોટા ભાગે ગલ્ફ દેશોમાંથી આયાત થાય છે. હાલના તણાવને કારણે આ સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે, જેના પરિણામે પ્લાસ્ટિકના દાણાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અગાઉ પ્લાસ્ટિકના દાણાનો ભાવ આશરે રૂ.110 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂ.200 સુધી પહોંચી ગયો છે. સાથે જ પાણીની બોટલ માટે ઉપયોગમાં લેવાતા કેરેટનો ભાવ પણ વધીને રૂ.75 થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો થયો છે. ઉત્પાદન ખર્ચ વધતા રાજકોટના પાણીની બોટલ ઉદ્યોગ પર દબાણ વધ્યું છે. જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો શહેરના આશરે 15 જેટલા યુનિટ બંધ થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. ઉદ્યોગકારોના મતે જો વૈશ્વિક તણાવ યથાવત રહેશે અને કાચા માલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો આવનારા સમયમાં પાણીની બોટલોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, જેનો સીધો અસર ગ્રાહકો પર પડશે.