હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્યભરમાં વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપના પ્રવેશથી વાતાવરણ વાદળછાયું બનવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠાના એંધાણ પણ નોંધાયા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા, ઉત્તર ભારતમાં હિમવર્ષાના એંધાણ જોવા મળી શકે છે. આ સંજોગોમાં ખેડૂતો માટે આગોતરું આયોજન જરૂરી રહેશે જેથી પાકને કોઈ નુકસાન ન થાય. વાતાવરણમાં આવતા પરિવર્તનોને પગલે રોગચાળો વધવાની શક્યતા છે. શરદી, ઉધરસ અને તાવ જેવા રોગ વધુ ઊંચા સ્તરે પહોંચી શકે છે. ખાસ કરીને બેવડી ઋતુના કારણે પાકમાં પણ રોગચાળો ફેલાવવાની શક્યતા છે. ખેડૂતોને યોગ્ય સમયે રક્ષણાત્મક પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબાલાલ પટેલે વૈશ્વિક સ્તરે હવામાનમાં પણ બદલાવની આગાહી કરી છે. સૂર્યમાં ડાઘા દેખાતા પેસેફિક અને પૂર્વ-પશ્ચિમ મહાસાગરોમાં વાવાઝોડા સર્જાઈ શકે છે. આનો અસર ભારતમાં પણ જોવા મળી શકે છે, જેમાં પાછોતરો વરસાદ અને ગરમીમાં વધારો થવાની શક્યતા છે.