ગુજરાતમાં ખરીફ પાક માટે નર્મદાનું વધારાનું પાણી ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પાણી વ્યવસ્થાપન અને ઉપલબ્ધ જળસ્રોતોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદની સ્થિતિ, પાણીની ઉપલબ્ધતા અને આગામી દિવસોમાં પાણીની જરૂરિયાત અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં મહી કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે 20 દિવસ સુધી 5000 ક્યુસેક નર્મદા પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને જામનગર વિસ્તારમાં નર્મદાનું પાણી 10 દિવસ માટે વધારવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોને 15 દિવસ સુધી 2000 ક્યુસેક નર્મદા પાણી આપવામાં આવશે. ખરીફ પાકને પૂરતું પાણી મળી રહે અને ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રાજ્યની પાણીની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જો આગામી સમયમાં વરસાદ ઓછો પડે અને પાણીની સ્થિતિ ગંભીર બને તો પીવાના પાણીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ રીતે જળવાઈ રહે તે માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ જળસંસાધનોના કરકસરપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો છે. પાણીનો બગાડ અટકાવવા તેમજ ઉપલબ્ધ પાણીનું યોગ્ય આયોજન કરવા તંત્રને તાકીદ કરવામાં આવી છે. સાથે જ પાણીના સંરક્ષણ માટે ખેડૂતો અને નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. ખરીફ સિઝનમાં ખેડૂતોની જરૂરિયાત અને પીવાના પાણીની સુરક્ષા વચ્ચે સંતુલન જળવાઈ રહે તે દિશામાં સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.