અયોધ્યામાં સંધ્યા આરતી સમયે લાખો દીપોની રોશનીથી ઝગમગી ઉઠ્યો સરયુ ઘાટ- જુઓ વીડિયો
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સંધ્યા સમયે સરયુ ઘાટ પર લાખો દીપો પ્રગટાવવામાં આવ્યા. સંધ્યા આરતી સમયે સરયુ ઘાટ લાખો દીપોની રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો. આ દીપ પ્રગટાવવાની કામગીરીમાં લાખો ભાવિકો સ્વયંભુ જોડાયા હતા અને દીપ પ્રગટાવતા જોવા મળ્યા હતા.
અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય મહોત્સવ બાદ અયોધ્યામાં દીપોથી દીપી ઉઠી છે. સંધ્યા આરતી સમયે સરયુ ઘાટ પર લાખો દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આ લાખો દીપોની રોશનીથી સરયુ ઘાટ દીપી ઉઠ્યો હતો. સરયુ તટ પર 5 લાખથી વધુ દીપ પ્રગટાવવામાં આવ્યા છે. આ દીપોની રોશનીથી નયનરમ્ય વાતાવરણ સર્જાયુ છે.
જેના કારણે સરયુ તટનો અદ્દભૂત અને અલૌકિક નજારો જોવા મળ્યો છે. ભવ્ય આતિશબાજી, લેસર શો અને દિપોના ઝગમગાટથી સરયુ તટની સુંદરતા નીખરી ઉઠી છે. આજના દિવસનો આ રોશની અને ઝગમગાટ જોઈને ત્રેતા યુગ ફરી જીવંત થયો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
ત્રેતા યુગમાં રામ જ્યારે વનવાસ પરથી રાવણનો વધ કરીને લંકાથી અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે અયોધ્યામાં જે માહોલ જોવા મળ્યો હતો એ જ સમય આજે ફરી જીવંત થયો હોય તેવો આનંદ સહુ કોઈના ચહેરા પર જોવા મળતો હતો. અયોધ્યા આજનો ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફરી રામના ગૃહ પ્રવેશની યાદ સંસ્મરણો તાજા કરાવી રહ્યો છે. દરેક અયોધ્યાવાસી આજે તેના પ્રભુના આગમનથી ભાવવિભોર જોવા મળી રહ્યો છે. માત્ર અયોધ્યા જ નહીં સમગ્ર દેશ અને વિશ્વભરના કરોડો હિંદુઓનો માટે આજનો દિવસ અદમ્ય આનંદ અને ગૌરવનો દિવસ બની રહ્યો છે.

