PM MODIની કોરોના જંગ સામે પ્રશંસનીય કામગીરી : WHO
PM MODI ના પ્રયાસોને કારણે ભારતમાં કોરોનાને જલ્દી કાબૂમાં લઈ શકાયો. વખાણ ભર્યા આ શબ્દો WHOના છે.
PM MODI ના પ્રયાસોને કારણે ભારતમાં કોરોનાને જલ્દી કાબૂમાં લઈ શકાયો. વખાણ ભર્યા આ શબ્દો WHOના છે. WHOએ કોરોના સામે પહોંચી વળવાના ભારતના પ્રયાસોની સરાહના કરી છે. ભારતમાં WHOના પ્રતિનિધિ ડૉ. રોડ્રિકો ઓફરિને કહ્યું કે જે તેજીથી ભારતમાં કોરોના મહામારીને અંકુશમાં લેવાયો છે તે પીએમ મોદીના પ્રયાસોથી સંભવ બન્યું છે.
તેમણે આ પ્રયાસોને જનઆંદોલન બનાવી દીધુ. તેમણે કહ્યું કે ભારત સરકારે કોરોના કાળ દરમિયાન જે ગંભીરતા દાખવી તે ગર્વની વાત છે. 130 કરોડની વસ્તી, 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ 770 જિલ્લા વાળા આ દેશમાં જે સાવચેતીથી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી તે ખૂબ ગર્વની વાત છે. ડૉ. ઓફરિને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે- જે તત્પરતા અને અનુશાસનથી ભારતમાં રસીકરણ થઈ રહ્યું છે તે આપણી જવાબદારીની ભાવનાને પ્રદર્શિત કરે છે. ભારતમાં અત્યાર સુધી 60 લાખથી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે. WHO પ્રમાણે, 60 લાખ લોકોને સૌથી જલ્દી કોરોના વૅક્સીન આપનારો ભારત પહેલો દેશ બની ગયો છે. કારણ કે અમેરિકાને આ આંકડા સુધી પહોંચતા 26 દિવસ લાગ્યા હતા. બ્રિટનને 46 દિવસ લાગ્યા હતા જ્યારે ભારતે ફક્ત 24 દિવસમાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.