Kutch : સરકારી તંત્રનો મોટો છબરડો, કોરોનાથી થતા મોતના આંકડામાં જોવા મળ્યો ફેરફાર
બીજી લહેર દરમિયાન કોરોનાથી અનેક લોકોના મોત નિપજ્યા છે. કોરોનથી થતા મોતના આંકડામાં સરકારી તંત્ર અને જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા આંકડામાં ફેરફાર જોવા મળ્યા છે.
Kutch : કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ પ્રજા સતત સરકાર ઉપર આક્ષેપ કરે છે કે કોરોનાથી થતા મોતના આંકડા છુપાવાઈ રહ્યા છે. આવા સંજોગોમાં, કોરોનાથી મૃત્યુઆંક અંગે કચ્છમાં સરકારી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે.
કચ્છની મુખ્ય સરકારી જી. કે. જનરલ (G.K. HOSPITAL) હોસ્પિટલમાં કોરોનાથી થતા મોત અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જાગૃત નાગરિકે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગતા તંત્રની પોલ ખુલી છે. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ત્રણ માસમાં 334 દર્દીના કોરોનાથી મોત થયા છે. જયારે જિલ્લા આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 282 લોકોના મોત કોરોનાથી થયા હોવાનું સામે આવ્યું હતું.
આ પરથી આરોગ્ય વિભાગ અને મુખ્ય સરકારી હોસ્પિટલના આંકડા વચ્ચે મોટી વિસંગતતા જોવા મળી છે. તેથી કહી શકાય કે તંત્ર કોરોનાથી થયેલ મોતના ખોટા આંકડા રજૂ કરતા હોવાનું સ્પષ્ટ થયું છે. આરોગ્ય વિભાગ અને જી.કે. જનરલ હોસ્પિટલના આંકડા વચ્ચે 52 લોકોના મૃત્યુનો તફાવત સામે આવ્યો છે.