Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો
વીરપુરમાં (Virpur) આધાર કાર્ડની (Aadhar Card) કામગીરી બંધ થઇ ગઈ છે. જેને લઈને વીરપુરના નાગરિકોને આધાર કાર્ડની કામગીરી માટે જેતપુર જવું પડે છે.
આધારકાર્ડ (Aadhar Card) હવે તમામ સરકારી કામકાજમાં ઉપયોગી અને ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજકોટ (Rajkot) જિલ્લાના વીરપુર (Virpur) ગામમાં આધાર કાર્ડની કામગીરી થતી જ નથી અને લોકો આધાર કાર્ડ કાઢવા માટે ત્રાહિમામ પોકારી જાય છે.
20 હજારની વસ્તી ધરાવતા વીરપુર ગામના લોકને એક આધાર કાર્ડ કઢાવવા માટે કે તેને લગતી કોઈ કામગીરી કરવા માટે વીરપુરથી જેતપુર સુધીનો 20 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. ખેત મજૂરો અને ખેડૂતની વધુ વસતી ધરાવતું આ ગામના લોકોને આધાર કાર્ડ કઢાવવા માટે સવારના તમામ જાતના કામને પડતા મૂકીને જેતપુર આવી જવું પડે છે. આમ છતાં કામ એક દિવસમાં પૂરું થતું નથી. એક આધાર કાર્ડ માટે જેતપુરનો ધક્કો ખાવો પડે છે.
નોંધનીય છે કે, 20 હજારની વસ્તી ધરાવતા વીરપુરમાં આધાર કાર્ડની કામગીરી માટે 5 માસ પહેલા સરકારે વીરપુર પોસ્ટ ઓફિસમાં તમામ જાતની સુવિધા કરી આપી છે. પરંતુ આમ છતાં અહીં કાયમ માટે આધાર કાર્ડની કીટ બંધ છે. આ બાબતે વીરપુર ગ્રામ પંચાયત અને વીરપુરના સરપંચ દ્વારા સરકારના તમામ લગતા વળગતા વિભાગોને લેખિત મૌખિક રીતે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી.