VADODARA : ક્યારે કોર્પોરેશન આપશે પાણી ? વાઘોડિયાના સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે રૂપિયા ખર્ચી પાણીના ટેન્કરો પણ મંગાવવા પડે છે. તેથી લોકો ત્રાહિમામ થઈને પાણીનો વેરો નહીં ભરવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
વાઘોડિયા રોડ પર આવેલ ખટંબા અર્બન રેસિડેન્સી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલ છે. જેમાં પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશો દ્વારા માટલા ફોડી અને પાણી નહીં તો વેરો નહીં ના સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ખટંબા અર્બન રેસિડેન્સીના રહીશો દ્વારા ચિમકી ઉચ્ચારવામા આવી હતી કે પાણીની સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિકાલ નહીં આવે તો આવનારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
આ આવાસ યોજનામાં કુલ ૧૨૮૪ મકાન આવેલ છે, જેમાંથી એક ટાવરમાં 84 મકાનો આમ કુલ ટોટલ ૧૬ ટાવરો આવેલ છે. 84 મકાનો વચ્ચે પાણીની ૨૧ લાઇનો આપેલ છે, જેથી પૂરતું પાણી મળી શકતું નથી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે રૂપિયા ખર્ચી પાણીના ટેન્કરો પણ મંગાવવા પડે છે. તેથી લોકો ત્રાહિમામ થઈને પાણીનો વેરો નહીં ભરવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. ૧૨૮૪ મકાનોના આશરે ૨૦થી ૨૫ લાખ જેટલો વેરો કોર્પોરેશનને જ મળતો હોય તો પછી કોર્પોરેશન દ્વારા પાણીની સમસ્યાના નિરાકરણ માટે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
જો આ વિસ્તારની પાણીની સમસ્યા દૂર નહીં થાય તો આગામી દિવસોમાં કોર્પોરેશનને ૨૦ થી ૨૫ લાખ ના વેરાનું નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.