Vadodara: મનપાના બહુચર્ચિત ફરાસખાના કૌભાંડ મુદ્દે ACB તપાસની અટકળોથી કૌભાંડીઓ ફફડયા
ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થવા અંગે શહેરી વિકાસ વિભાગમાં થયેલી ફરિયાદ બાબતે શહેરી વિકાસ વિભાગે લાંચ રુશ્વત વિરોધી શાખાને સુચના આપી હતી. જેના અનુસંધાને એસીબીએ પાલિકામાં પત્ર મોકલી કૌભાંડની તપાસ કરી અહેવાલ મોકલવા જણાવતા પાલિકામાં ખળભળાટ મચી ગયો છે.
વડોદરા (Vadodara) મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation ) બહુચર્ચિત ફરાસખાના કૌભાંડની ACB દ્વારા તપાસ શરૂ કરાઇ હોવાની અટકળોથી કૌભાંડીઓમાં ગભરાટ વ્યાપી ગયો છે. મ્યુનિસિપલ કમીશ્નર શાલિની અગ્રવાલની બદલી સાથે જ કૌભાંડ ની તપાસ અંગે ACB હરકતમાં આવી છે. નોંધનીય છે કે ફરાસખાનાના કોન્ટ્રકટરોની સ્પર્ધામાં કૌભાંડ અને ગેરરીતિની હકીકતો પ્રકાશમાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી એકજ કોન્ટ્રાક્ટરને કામ અપાતા ગેરરીતિ અંગે તપાસ માટે અરજી થઈ છે.
ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં કૌભાંડ થવા અંગે શહેરી વિકાસ વિભાગમાં થયેલી ફરિયાદ બાબતે શહેરી વિકાસ વિભાગે લાંચ રુશ્વત વિરોધી શાખાને સુચના આપી હતી. જેના અનુસંધાને એસીબીએ પાલિકામાં પત્ર મોકલી કૌભાંડની તપાસ કરી અહેવાલ મોકલવા જણાવતા પાલિકામાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા મહાનગર પાલિકામાં ફરાસખાનાના કોન્ટ્રાક્ટમાં માનીતા કોન્ટ્રાક્ટરને કાયદા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ અપાયાની ફરિયાદ થઈ હતી. કોન્ટ્રાકટમાં નિયમો વિરુદ્ધ જઈ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ અંગે એસીબીએ પાલિકાને તપાસ કરવા જણાવ્યું છે.
પ્રતિસ્પર્ધી કોન્ટ્રકટર દ્વારા 7 ફેબ્રુઆરી એ રાજ્યના મુખ્ય સચિવ, તકેદારી આયોગ અને ACB ને કરાયેલ અરજી સંદર્ભે VMC ની જનસંપર્ક વિભાગમાં વિગતો માંગતો પત્ર આવતા ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જનસંપર્ક અધિકારી હાજર હોવા છતાં ઇન્ચાર્જ જનસંપર્ક અધિકારી સુમન રાઠવા દ્વારા ખોટી રીતે ફરસખાના કંપનીના પ્રમાણ પત્રો પ્રમાણિત કરાયા હોવાના આક્ષેપો થયા હતા. અધિકારીઓએ ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરે પોતાના માનીતા અને લાગતા વળગતાને કામ મળે તેવા પ્રયાસ કર્યા હોવાના ગંભીર આક્ષેપ છે ત્યારે ફરિયાદ બાદ તે શહેરી વિકાસ વિભાગે આ અંગે લાંચ-રુશ્વત વિભાગને અરજી મોકલી હતી.