Vadodara: SSG હોસ્પિટલના તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી બાબા રામદેવ સામે વિરોધ પ્રદર્શન કર્યું
એલોપથી અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર બાબા રામદેવ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે, વડોદરાના તબીબોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
એલોપથી અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર બાબા રામદેવ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે, વડોદરાના તબીબોમાં (Doctors) પણ આક્રોશ જોવા મળ્યો હતો. SSG હોસ્પિટલના તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને IMA સાથે સંકળાયેલા આ તબીબો રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
રાષ્ટ્રવ્યાપી વિરોધના ભાગરૂપે IMA ના વડોદરા વિભાગના હોદ્દેદારો બાબા રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. રાવપુરા પોલીસે ફરિયાદ સ્વિકરવાનો ઇનકાર કર્યો હોવાથી IMA ના હોદ્દેદારોએ પોલીસ કમિશ્નર કચેરી પહોંચી ફરિયાદ નોંધવા માટે અરજ કરી હતી.
આજે દેશભરમાં અને રાજ્યભરમાં રામદેવ બાબા વિરુદ્ધ બ્લેક ડે ઉજવવામાં આવ્યો હતો. સુરતમાં પણ ફેડરેશન ઓફ રેસિડન્ટ ડૉક્ટર્સ અને જુનિયર ડોકટર એસોસિયેશન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વિરોધમાં જોડાયેલા ડૉક્ટરોનું કહેવું હતું કે બાબા રામદેવે એલોપેથી સાથે સંકળાયેલા તબીબોનું અપમાન કર્યું છે. વેકસિનથી લોકોના મોત થયા છે એ ગેરજવાબદારીભર્યું અને વાહિયાત નિવેદન છે. તેમણે આ નિવેદન આપીને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન વિશે જુઠ્ઠાણું અને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.
ડોકટરોએ આજે સુરત સિવિલ કેમ્પસમાં બાબા રામદેવ માફી માંગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેની ધરપકડ થવી જોઈએ તેવી પણ માંગણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી. એલોપેથી ડોક્ટરો આયુર્વેદિક ઉપચારની વિરોધમાં નથી. પણ આ પ્રકારનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને સરકારે તેમના વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી.
આજે દેશ સહિત રાજ્યભરમાં જેટલા પણ તબીબો, નર્સિંગ સ્ટાફ કોરોના ડ્યુટીમાં જોડાયેલા છે તેઓએ રામદેવ બાબા વિરુદ્ધ દેખાવો કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ ડીપી બ્લેક રાખીને નારાજગી વ્યક્ત કરી હતી.
આ દરમ્યાન દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ નહિ પડે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં જો સરકાર કોઈ પગલાં નહિ ભરે તો વિરોધ કાર્યક્રમ યથાવત રાખવાની ચીમકી પણ તબીબો દ્વારા ઉચ્ચારવામા આવી છે.